રાજ્યના પૈસા તમે લૂંટાવા દીધા, રાજીનામું આપો

03 June, 2025 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજિત પવારે સ્વીકાર્યું કે લાડકી બહિણ યોજનામાં ઘણી ભૂલો થઈ છે અને ઉદ્ધવસેના તૂટી પડી

અજિત પવાર

માઝી લાડકી બહિણ યોજનાનો મુદ્દો ફરી એક વખત ગરમાયો છે. રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કબૂલ કર્યું છે કે ‘માઝી લાડકી બહિણ યોજનામાં ભૂલો થઈ છે અને પાત્ર ન હોય એવી મહિલાઓએ પણ એનો લાભ લીધો છે. અમે મહિલાઓ દ્વારા સબમિટ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છીએ. જે પણ પાત્ર અને ગરજુ મહિલાઓ હશે તેમને લાડકી બહિણ યોજનાનો લાભ મળશે. અમે (સરકારે) જ્યારે આ યોજના ઇન્ટ્રોડ્યુસ કરી ત્યારે અમારી પાસે બહુ ઓછો સમય હતો. ૨-૩ મહિનામાં જ ચૂંટણીઓ હતી. એથી એ વખતે આ બધી બાબતો તપાસવા જે સમય જોઈએ એ નહોતો મળ્યો. એમ છતાં અમે અપીલ કરી હતી. અમને એવું લાગ્યું હતું કે આ યોજનામાં જે મહિલાઓ પાત્ર નહીં હોય તેઓ અરજી નહીં કરે, પરંતુ કેટલીક મહિલાઓએ અરજી કરી હતી. હવે જે પૈસા અમે આપી ચૂક્યા છીએ એ તો પાછા નહીં જ લઈએ. કબૂલ કરીએ છીએ કે અમારી ભૂલ થઈ. તે મહિલાઓએ અરજી નહોતી કરવી જોઈતી.’

હવે આ મુદ્દાને વિપક્ષે ઉપાડી લીધો છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના નેતા સંજય રાઉતે અજિત પવારના રાજીનામાની માગણી કરતાં કહ્યું હતું કે ‘અજિત પવાર રાજીનામું આપે. અર્થ ખાતામાંથી આ ગોટાળો થયો છે. પૈસા કોણે આપ્યા? આ રાજ્યના પૈસા લૂંટ્યા કોણે? આ રાજ્યના પૈસા તમે લૂંટાવા દીધા. લાડકી બહેનોએ જ નહીં, લાડકા ભાઈઓએ પણ નામ બદલીને સેંકડો કરોડ રૂપિયાનો લાભ ઉઠાવ્યો છે. સરકારી કર્મચારીઓએ આ લાભ લીધો અને તમે એ લેવા દીધો. તમે પૂરતી ચકાસણી કરી નહીં. તમને એની જાણ હતી, પણ એ વખતે તમને મત જોઈતા હતા. અર્થ ખાતામાંથી આ લૂંટ થઈ એનું પ્રાયશ્ચિત્ત કોણે કરવું જોઈએ?’

ajit pawar shiv sena political news maharashtra political crisis maharashtra maharashtra news news mumbai mumbai news sanjay raut finance news finance ministry