કબૂતરોને ચણ નાખતા લોકોને દંડવાનું શરૂ કરી દીધું BMCએ

15 July, 2025 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ દિવસમાં ૧૦૭ કેસ રજિસ્ટર કર્યા, ૫૫,૭૦૦ રૂ​પિયાનો દંડ વસૂલ કર્યો

ગઈ કાલે જનરલ પોસ્ટ ઑફિસ પાસેના કબૂતરખાના પર ખાસ કંઈ હલચલ નહોતી. (તસવીર : આશિષ રાજે)

મુંબઈનાં વિવિધ કબૂતરખાનાંઓમાં પક્ષીઓને ચણ નાખવા બદલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ૩ જુલાઈથી ૧૨ જુલાઈ દરમ્યાનના ૧૦ દિવસમાં તેમણે ૧૦૭ કેસ નોંધ્યા છે અને કુલ ૫૫,૭૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. સૌથી વધુ કેસ દાદરમાં નોંધાયા છે. દંડની વસૂલ કરવામાં આવેલી રકમમાં દાદર, માટુંગા, ગોરેગામ, મલાડ અને જનરલ પોસ્ટ ઑફિસ (GPO) તેમ જ ગેટવે ઑફ ઇન્ડિયા મોખરે છે.

શિવસેનાનાં નેતા મનીષા કાયંદેએ આ બદલ વિધાનસભામાં રજૂઆત કરતાં રાજ્ય સરકારે ૩ જુલાઈએ BMCને જણાવ્યું હતું કે કબૂતરખાના પાસે રહેતા લોકોને કબૂતરની ચરક અને પીંછાંને કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ, ખાસ કરીને શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ થતી હોવાથી મુંબઈનાં બધાં જ ૫૧ કબૂતરખાનાંઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે.

એ પછી પાંચ જુલાઈએ BMCના કર્મચારીઓએ દાદર કબૂતરખાનામાં બનાવવામાં આવેલો શેડ તોડી પાડ્યો હતો અને ત્યાંથી કબૂતરને નાખવાના ચણની ૫૦ કિલોની એક એવી પચીસ ગૂણી પણ જપ્ત કરી હતી.

BMCના એક ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં મોટા ભાગે દરેક વૉર્ડમાં કબૂતરખાનાં આવેલાં છે. કબૂતરોને ચણ નાખનારાઓને અમે દંડ કરી રહ્યા છીએ.’

કયા કબૂતરખાના પર કેટલા કેસ, કેટલો દંડ 
કબૂતરખાનાં    કેસ    દંડ
દાદર    ૧૬૭૭૦૦
મલાડ    ૧૫૭૫૦૦
GPO (ફોર્ટ)    ૭૩૫૦૦
કાંદિવલી    ૭૩૫૦૦
પવ​ઈ    ૭૩૫૦૦
ગોરેગામ    ૬૩૦૦૦
બોરીવલી-વેસ્ટ    ૫૨૫૦૦
બોરીવલી-ઈસ્ટ    ૫૨૫૦૦ 

news brihanmumbai municipal corporation mumbai mumbai news maharashtra maharashtra news dadar health tips