16 June, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં જ દિવ્યાંગ લોકો માટે આરક્ષિત ડબ્બામાં ગેરકાયદે ઘૂસી ગયેલા સામાન્ય મુસાફરોએ દિવ્યાંગ મુસાફર સાથે ઝઘડો અને મારપીટ કરી હોવાનો બનાવ બન્યો હતો. આવા બનાવો ટાળવા માટે સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝને ઝોનલ ઑફિસ સમક્ષ ટિકિટ-ચેકિંગ સ્ટાફને તાત્કાલિક દંડ વસૂલ કરવાની સત્તા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
પ્રવર્તમાન નિયમ મુજબ દિવ્યાંગજનના ડબ્બામાં ગેરકાયદે મુસાફરી કરનારની અટકાયત કરીને તેને રેલવે મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. જોકે આ પ્રક્રિયા લાંબી છે અને અવ્યવહારુ પણ છે જેને કારણે એનો યોગ્ય અમલ થઈ શકતો નથી.
સેન્ટ્રલ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ખાસ કરીને પીક અવર્સમાં દિવ્યાંગજનના ડબ્બામાં સામાન્ય મુસાફરો ચડી જતા હોય છે જેને કારણે દિવ્યાંગ મુસાફરોને ઘણી તકલીફ પડે છે. દિવ્યાંગજનને મળતી સુવિધાનો અન્ય પ્રવાસીઓ ગેરલાભ ઉઠાવે છે જેને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે.’