18 January, 2022 01:42 PM IST | Mumbai | Rajendra B Aklekar
રવિવારે દાદર સ્ટેશનમાં પ્રવાસીઓની ચિક્કાર ગિરદી જોવા મળી હતી (તસવીર : આશિષ રાજે)
મુંબઈની લોકલ ટ્રેનોએ કોઈ પણ સંભવિત નિયંત્રણો લાગુ કર્યાં વિના ત્રીજી લહેર દરમિયાન પણ અવિરત પાટા પર દોડવાનું ચાલુ રાખ્યું છે. રેલવે-અધિકારીઓએ જણાવ્યું હતું કે માસ્કવિહોણા અને નિયમનું પાલન ન કરનારા મુસાફરો સામે સાતત્યપૂર્ણ અને વધેલી કાર્યવાહી શહેરની લાઇફલાઇનને ધબકતી રાખવામાં સહાયરૂપ નીવડી છે.
એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘લોકલ ટ્રેનો શહેરની લાઇફલાઇન છે. રાજ્ય સરકારે ફરજિયાત યુનિવર્સલ પાસ થકી ટિકિટ અને પાસ જારી કરવા અંગેની વિસ્તૃત સૂચનાઓ આપી દીધી છે. વધુમાં બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા વધી રહી છે. અમે માસ્કવિહોણા લોકો સામેની કાર્યવાહી તેજ કરી છે. વળી મહામારીને નિયંત્રિત રાખવા માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટની સુસંગત કલમો હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની રાજ્ય સરકારે અમને પરવાનગી આપી છે.’
પ્રવાસી સંગઠનોએ આ વખતે ‘સંવેદનશીલ’ રહેવા બદલ ઑથોરિટીનો આભાર માન્યો હતો. મુંબઈ રેલ પ્રવાસી સંઘના પ્રમુખ મધુ કોટિયને જણાવ્યું હતું કે ‘હંમેશાં બધું સદંતર બંધ કરી દેવું જરૂરી નથી હોતું, પણ અંકુશ સ્થિતિને નિયંત્રણ હેઠળ રાખવા માટેનો ઉચિત માર્ગ છે. ઘણા લોકો રોજિંદા ધોરણે આવક રળીને કુટુંબનું ભરણ-પોષણ કરતા હોય છે. ઘણા ગરીબ, વર્કિંગ ક્લાસના લોકો એમના કાર્યસ્થળે પહોંચી ન શક્યા હોત, આથી આવા લોકો માટે તો રેલવે જીવાદોરી છે. રોડની હાલત તો અગાઉથી જ કંગાળ છે.’