28 May, 2026 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટના ભાગરૂપે નાલાસોપારા-ઈસ્ટના સંતોષ ભુવનસ્થિત વલાઈપાડા વિસ્તારમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. આ સ્ટેશનની આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરે ચમકાવવા માટે જપાનની તર્જ પર એક અત્યાધુનિક અને હાઈ-પ્રોફાઇલ ટાઉનશિપ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર વિસ્તારના વિકાસ માટે લોકલ એરિયા પ્લાન તૈયાર કરવામાં આવશે, જે અંગે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશને નોટિફિકેશન જાહેર કર્યું છે.
બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ મુસાફરોની અવરજવર અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને કુલ ૪૬૭ હેક્ટર જમીન વિકસાવવામાં આવશે. આ માટે સેન્ટ્રલ હાઉસિંગ મિનિસ્ટ્રી દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ જપાનની પ્રખ્યાત સંસ્થા જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સી (JICA) સાથે કો-ઑર્ડિનેશનમાં રહીને કામ કરશે.
લોકલ ટૂરિઝમ અને ઉદ્યોગોને મોટો વેગ આપવા માટે અહીં એક વિશાળ બિઝનેસ હબ બનાવવાની યોજના છે. આ વિસ્તારમાં મોટા પાયે ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) આકર્ષવા માટે એને સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન (SEZ)નો દરજ્જો આપવામાં આવશે. મુસાફરોને ટ્રાફિક જૅમની સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેઓ બુલેટ ટ્રેન સ્ટેશન સુધી ઝડપથી પહોંચી શકે એ માટે બે નવા કનેક્ટિંગ રૂટ પણ પ્રપોઝ કર્યા છે.
કૉર્પોરેશન દ્વારા આ માસ્ટર પ્લાન વિશે નાગરિકો પાસેથી વાંધાઓ અને સૂચનો મગાવવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.