09 April, 2025 06:58 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં તનીશા ભીસે નામની પ્રેગ્નન્ટ મહિલાના મૃત્યુના મામલાની તપાસ કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગના જૉઇન્ટ ડિરેક્ટર ડૉ. રાધાક્રિષ્નન પવારની અધ્યક્ષતા હેઠળ નિયુક્ત કરવામાં આવેલી ચાર મેમ્બરની કમિટીએ ગઈ કાલે પોલીસને રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં કમિટીએ જણાવ્યું છે કે ‘દીનાનાથ મંગેશકર હૉસ્પિટલે ઍડ્વાન્સ પેમેન્ટ કરવાની માગણી કરીને નિયમનો ભંગ કર્યો છે. બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટની અમલબજાવણી મુજબ ચૅરિટેબલ હૉસ્પિટલોએ ઇમર્જન્સી વખતે દરદીને તાત્કાલિક દાખલ કરીને દરદીની સ્થિતિમાં સુધારો થાય એ માટેના પ્રયાસ કરવાના હોય છે. ઇમર્જન્સી વખતે ચૅરિટેબલ હૉસ્પિટલ ઍડ્વાન્સ પેમેન્ટની માગણી ન કરી શકે.’
ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદના સભ્ય અમિત ગોરખેના પર્સનલ સેક્રેટરીની પ્રેગ્નન્ટ પત્ની તનીશા ભીસેની સારવાર માટે દીનાનાથ મંગેશકર હૉસ્પિટલે ૧૦ લાખ રૂપિયા ઍડ્વાન્સ માગ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યા બાદ આ મામલાની તપાસ કરવા માટે એક કમિટી રચવામાં આવી હતી.