મુંબઈમાં કોરોનાના કેસ સામાન્ય, પણ ફરી કેસ નોંધાતાં સ્લમ અને સોસાયટીઓમાં જોખમ વધ્યું

25 September, 2021 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે મુંબઈમાં ૬ દરદીનાં મૃત્યુ થયાં હતાં

ફાઈલ તસવીર

શહેરમાં ગઈ કાલે ૩૬,૫૩૬ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાંથી ૧.૨૨ ટકા પૉઝિટિવિટી સાથે ૪૪૬ કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોરોના મહામારીમાં સપડાઈને મૃત્યુ પામનારા દરદીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે મુંબઈમાં ૬ દરદીનાં મૃત્યુ થયાં હતાં. એમાંથી બે દરદી ૪૦થી ૬૦ વર્ષના હતા તો બાકીના ૪ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૦૭૪ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં ઓછા એટલે કે ૪૩૦ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૪૦,૩૦૭ કેસમાંથી ૭,૧૬,૯૪૧ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો વધીને ૪,૮૦૯ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્‌ રહી છે. કેસ ડબલિંગનો દર સહેજ વધારા સાથે ૧,૧૮૭ દિવસ થયો છે. ગઈ કાલે લાંબા સમય બાદ એક કેસ આવતાં એક સ્લમ અને બેઠી ચાલ સીલ કરાઈ હતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતાં વધુ ૪ બિલ્ડિંગમાં નવા કેસ નોંધાતાં આવી ઇમારતોની સંખ્યા ૫૦ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૩૭૩ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૬ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

mumbai mumbai news coronavirus covid19