24 June, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સોમવારે મોડી રાત્રે અંધેરી (Andheri) અને બોરીવલી (Borivali) વચ્ચે દોડતી વેસ્ટર્ન રેલવે (Western Railway)ની લોકલ ટ્રેનમાં થયેલી બબાલ દરમિયાન ૨૨ વર્ષના એક મુસાફરને છરી મારી દેવાતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મુશળધાર વરસાદ વચ્ચે ટ્રેનનો દરવાજો બંધ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી ઉગ્ર દલીલો બાદ ચર્ચગેટ-નાલાસોપારા ફાસ્ટ લોકલ ટ્રેન Churchgate – Nalasopara Fast Local Train)માં આ ઘટના બની હતી.
આ ચોંકાવનારો હુમલો (Mumbai Local Train Stabbing) ત્યારે થયો જ્યારે આરોપી અને ભોગ બનનાર યુવક મયંક લોહાર વચ્ચે વરસાદ દરમિયાન લોકલ ટ્રેનના ડબ્બાનો દરવાજો ખુલ્લો રાખવો કે નહીં તે બાબતે બોલાચાલી થઈ હતી. મૌખિક દલીલોથી શરૂ થયેલો આ વિવાદ ઝડપથી હિંસામાં ફેરવાઈ ગયો હતો, જેમાં આરોપીએ કથિત રીતે તીક્ષ્ણ હથિયાર કાઢીને ૨૨ વર્ષીય યુવાન મયંક લોહારના પેટમાં ઝીંકી દીધું હતું અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.
ગવર્નમેન્ટ રેલવે પોલીસ (Government Railway Police)એ આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ કરી રહી છે, જે ટ્રેન બોરીવલી સ્ટેશન પર ઉભી રહે તે પહેલાં જ ભાગી ગયો હોવાના અહેવાલ છે.
મયંક લોહાર ટ્રેન નંબર ૯૦૬૬૩ના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો, જે ટ્રેન રાત્રે ૧૦:૦૫ વાગ્યે ચર્ચગેટથી ઉપડી હતી.
આ ટ્રેન રાત્રે ૧૦:૪૨ વાગ્યે અંધેરી સ્ટેશને પહોંચી હતી, જ્યાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ભારે વરસાદ વચ્ચે ડબ્બાનો દરવાજો ખુલ્લો રાખવો કે બંધ રાખવો તે અંગે બંને મુસાફરો વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ વિવાદ દરમિયાન, જ્યારે ટ્રેન અંધેરી અને બોરીવલી સ્ટેશન વચ્ચે દોડી રહી હતી, ત્યારે આરોપીએ લોહારના પેટમાં છરી મારી દીધી હતી, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ લોકલ ટ્રેન રાત્રે ૧૧:૦૪ વાગ્યે બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૬ પર આવી પહોંચી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન સંપૂર્ણ રીતે ઉભી રહે તે પહેલાં જ આરોપી ટ્રેનમાંથી કૂદીને ભાગી ગયો હતો.
વેસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેનના આગમનની ત્રણ મિનિટની અંદર જ રેલવે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસના કર્મચારીઓ ઘટનાવાળા ડબ્બામાં પહોંચી ગયા હતા. રાત્રે ૧૧:૧૦ વાગ્યા સુધીમાં સ્ટ્રેચર, કુલી અને તબીબી સહાયની ટીમ પણ ડબ્બામાં પહોંચી ગઈ હતી. ઘાયલ મુસાફરને રાત્રે લગભગ ૧૧:૧૨ વાગ્યે ડબ્બામાંથી બહાર કાઢી તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
લોહારને રાત્રે ૧૧:૨૨ વાગ્યે બોરીવલી સ્ટેશનના ઇમરજન્સી મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેની તપાસ કરી હતી. ત્યારબાદ રેલવે સત્તાવાળાઓ, પોલીસ કર્મચારીઓ અને સ્ટેશનના સ્ટાફે તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
તબીબી સલાહના આધારે, અધિકારીઓએ ઘાયલ મુસાફરને રાત્રે ૧૧:૪૨ વાગ્યે એમ્બ્યુલન્સ દ્વારા કાંદિવલી (Kandivali)ની શતાબ્દી હોસ્પિટલ (Shatabdi Hospital)માં ખસેડ્યો હતો. આ દરમિયાન RPF અને GRPના જવાનો પણ તેની સાથે ગયા હતા. એમ્બ્યુલન્સ રાત્રે લગભગ ૧૧:૫૨ વાગ્યે હોસ્પિટલ પહોંચી હતી.
વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું કે, વરિષ્ઠ અધિકારીઓએ આખી રાત પરિસ્થિતિ પર નજર રાખી હતી. એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (મુંબઈ સેન્ટ્રલ) અને સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનરે રાત્રે લગભગ ૧:૦૦ વાગ્યે બોરીવલી સ્ટેશનની મુલાકાત લીધી હતી, જેથી ઘટના પાછળના સંજોગોની સમીક્ષા કરી શકાય અને રેલવે સ્ટાફ દ્વારા લેવામાં આવેલા પગલાંનું મૂલ્યાંકન કરી શકાય.
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર (CPRO) વિનીત અભિષેકે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલવે સત્તાવાળાઓએ તાત્કાલિક કટોકટીની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી હતી. તેમણે જણાવ્યું કે RPF અને GRPના જવાનો મિનિટોમાં ડબ્બામાં પહોંચી ગયા હતા, કોઈ પણ વિલંબ વિના તબીબી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને મુસાફરને ઝડપથી હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિનીત અભિષેકે એ પણ પુષ્ટિ કરી છે કે, સીસીટીવી ફૂટેજ અને અન્ય સંબંધિત પુરાવાઓ સુરક્ષિત કરીને તપાસ એજન્સીઓને સોંપી દેવામાં આવ્યા છે.
અંધેરી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે ચાલુ ટ્રેનમાં આ હુમલો થયો હતો અને આરોપી હજુ પણ ફરાર છે. ગવર્નમેન્ટ રેલવે પોલીસ આ મામલે પોતાની તપાસ ચલાવી રહી છે અને તપાસ આગળ વધતાં વધુ વિગતો સામે આવવાની અપેક્ષા છે.