02 July, 2025 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નદી પાર કરવા માટે રોજ ટાયર ટ્યુબ્સનો ઉપયોગ કરવો પડે છે
મુંબઈથી થોડાક જ કિલોમીટરના અંતરે આવેલા પાલઘર જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય એની રાહ જોવાઈ રહી છે. આ ગામોમાં આદિવાસી સમૂહો રહે છે. તેમના ગામ નજીકથી વહેતી નદીઓ પર પુલ બાંધવાની માગણી લાંબા સમયથી પૂરી થતી નથી; જેને કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગામવાસીઓને ટાયર-ટ્યુબની મદદથી નદી પાર કરીને સામે પાર જવું પડે છે. વિક્રમગડ તાલુકામાં આવેલી પીંજલ નદી અને મોખડા તાલુકામાં આવેલી વાઘ નદી વરસાદમાં બે કાંઠે થઈ જાય છે, જેને કારણે આસપાસનાં ગામના લોકોને જીવના જોખમે નદી પાર કરીને સામે કિનારે જવું પડે છે. ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ માટે આ જોખમી છે. આદિવાસીઓના વિકાસ માટે સરકાર કરોડોનું ફન્ડ આપે છે પરંતુ અમને કોઈ સુવિધા મળતી નથી એમ અહીં રહેતા લોકોએ જણાવ્યું હતું.