30 July, 2021 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના પાલઘર જિલ્લામાં આવેલી વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકા (વીવીસીએમસી)એ એક દિવસમાં કોરોનાવાઇરસના ચેપથી ૫૬ મૃત્યુ નોંધ્યાં હતાં, જે મુંબઈ સર્કલમાં એક દિવસમાં નોંધાયેલાં કુલ મૃત્યુ કરતાં લગભગ અડધાં હોવાનું અધિકારી સ્તરે મળેલી આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું. રાજ્ય સરકારના ડૅશબોર્ડ પર પ્રકાશિત કરેલી માહિતી મુજબ આ આંકડાઓ બુધવાર, ૨૮ જુલાઈના છે જ્યારે રાજ્યમાં કોરોનાને કારણે ૨૮૬ મૃત્યુ નોંધાયાં હતાં. એમાંથી ૧૧૨ મૃત્યુ મુંબઈ સર્કલમાં તથા એનાથી અડધાં ૫૬ મૃત્યુ વસઈ-વિરારમાં નોંધાયાં હતાં.
વસઈ-વિરાર ઉપરાંત બુધવારના દિવસે મુંબઈ સર્કલમાં આવેલા અન્ય કેટલાક વિસ્તારોમાં કોરોનાથી થયેલાં મૃત્યુના આંકડા પર નજર કરીએ તો મુંબઈ શહેરમાં ૬ મૃત્યુ, થાણે શહેરમાં ૩, નવી મુંબઈમાં બે, કલ્યાણ-ડોમ્બિવલીમાં ૮, મીરા-ભાઈંદરમાં એક, પાલઘર ગ્રામીણમાં બે, રાયગડમાં ૩૨ અને પનવેલમાં બે મૃત્યુ નોંધાયાં હતાં.