14 September, 2026 12:15 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર (તસવીર સૌજન્યઃ એએફપી)
ભારત (India) અને ચીન (China) વચ્ચેના સંબંધોમાં સુધારાના સંકેતો વચ્ચે ચીને ૨૦૨૫ દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાના સૈનિકોની તૈનાતીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જોકે, આ ઘટાડા છતાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ ભારતની ઉત્તરીય સરહદો નજીક હજુ પણ નોંધપાત્ર પ્રમાણમાં લડાયક દળો જાળવી રાખ્યા છે. નવી દિલ્હી અને બિજિંગ વચ્ચે રાજદ્વારી તેમજ સૈન્ય સ્તરે ફરી શરૂ થયેલા સંવાદના કારણે તણાવમાં ઘટાડો થયો છે, જ્યારે બીજી તરફ ભારતીય સેનાએ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરહદ પર પોતાની ઓપરેશનલ સજ્જતા અને સતર્કતા પૂર્વવત જાળવી રાખી છે.
સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક અહેવાલ (૨૦૨૫-૨૬) અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ ૨૦૨૫ દરમિયાન વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાના સૈનિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. ભારત અને ચીન વચ્ચેના સતત રાજદ્વારી, રાજકીય અને સૈન્ય વાર્તાલાપ બાદ સીમા પર સ્થિરતાની દિશામાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. જોકે, ચીની સૈન્યએ હજુ પણ ઉત્તરીય સરહદ અને તેના પરંપરાગત તાલીમ ક્ષેત્રોમાં લગભગ ૧૦ કોમ્બાઇન્ડ આર્મ્સ બ્રિગેડ સ્તરની ટુકડીઓ તૈનાત રાખી છે.
ચીની દળોની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, સંરક્ષણ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ નવી પરિસ્થિતિનો અસરકારક સામનો કરવા માટે ભારતીય સેના LAC ના તમામ સેક્ટરોમાં સંપૂર્ણ રીતે સજ્જ અને મજબૂત સ્થિતિમાં તૈનાત છે. એક કોમ્બાઇન્ડ આર્મ્સ બ્રિગેડ એક આત્મનિર્ભર લડાયક યુનિટ તરીકે કામ કરે છે, જેમાં ઇન્ફન્ટ્રી, આર્મર, આર્ટીલરી અને એર ડિફેન્સ એલિમેન્ટ્સ સામેલ હોય છે.
મંત્રાલયે નોંધ્યું હતું કે, સ્થાનિક ઓપરેશનલ મુદ્દાઓને ઉકેલવા માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તમામ સેક્ટરોમાં બોર્ડર પર્સનલ મીટિંગ્સ (BPM) યોજવામાં આવી હતી. ૨૦૨૦ ના સીમા વિવાદ બાદ સરહદ પર વ્યાપેલા ભારે તણાવ પછી સૈન્ય ઘાટોમાં થયેલો આ ઘટાડો એક મહત્વપૂર્ણ ઓપરેશનલ બદલાવ દર્શાવે છે.
સંરક્ષણ મંત્રાલયે સરહદી વાતાવરણમાં સુધારાનો શ્રેય વિવિધ સ્તરે થયેલી ઉચ્ચ સ્તરીય વાટાઘાટોને આપ્યો છે. માર્ચ અને જુલાઈ ૨૦૨૫ માં ભારત-ચીન સીમા બાબતો પર વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન (WMCC) ની ૩૩મી અને ૩૪મી બેઠકો યોજાતાં રાજદ્વારી માર્ગો પુનઃ સક્રિય થયા હતા. આ ઉપરાંત, સીમા પ્રશ્ન પર સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ (SR) ની વાટાઘાટો ફરી શરૂ થઈ હતી, અને ઓગસ્ટ ૨૦૨૫ માં તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પણ યોજાઈ હતી.
સૈન્ય સ્તરે સંવાદ આગળ વધ્યો હતો, જેમાં ઓક્ટોબર ૨૦૨૫ ના અંતમાં પૂર્વ લડાખમાં ૨૩મી કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. વધુમાં, લડાખ બહાર પણ સંવાદ માળખાનો વિસ્તાર થયો હતો, જે અરુણાચલ પ્રદેશના વાચા-દામાઈ બોર્ડર પોઈન્ટ ખાતે પૂર્વ સેક્ટરમાં યોજાયેલી પ્રથમ કોર્પ્સ કમાન્ડર સ્તરની વાટાઘાટો દ્વારા સ્પષ્ટ થાય છે.
ઉત્તરીય સરહદો પર ધીમે ધીમે આવેલી સ્થિરતાને ટોચના રાજકીય સંવાદોથી વધુ બળ મળ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ ચર્ચા દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોનો લાંબા ગાળાનો વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અપનાવવા અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને મજબૂત કરવા પર ભાર મુક્યો હતો.
સંરક્ષણ મંત્રાલયે નિષ્કર્ષ કાઢ્યો હતો કે દ્વિપક્ષીય વાટાઘાટો ઉત્તરીય સરહદો પર વધુ સ્થિરતા લાવવામાં સફળ રહી છે, છતાં રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે સતર્ક અને સજ્જ રહેશે.