જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત: ખાડામાં ખાબકી કાર, 8 લોકોનાં મોત

27 July, 2024 05:57 PM IST  |  Jammu | Gujarati Mid-day Online Correspondent

ગયા રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત 6 લોકોનાં મોત થયાં હતાં અને 6 અન્ય લોકો ઘાયલ થયા હતા

પ્રતીકાત્મક તસવીર

Horrific Accident in Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. સિમથાન-કોકરનાગ રોડ પર એક વાહન ખાડામાં પડી ગયું, જેમાં 5 બાળકો સહિત 8 લોકોના મોત થયા. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો એક જ પરિવારના હોવાનું પણ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ વાહન કિશ્તવાડના મડવા થઈને જઈ રહ્યું હતું, તે દરમિયાન ડ્રાઈવરે અચાનક કાર પરનો કાબૂ ગુમાવી દીધો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગયા રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં પિતા-પુત્ર સહિત 6 લોકોનાં મોત થયાં હતાં અને 6 અન્ય લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે જીવ ગુમાવનારા પાંચ લોકો બે પરિવારના હતા. રવિવારે સવારે રાજૌરી જિલ્લામાં તેમની કેબ ખાડામાં પડી જતાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા હતા. વાહનમાં મુસાફરી કરી રહેલા 8 લોકો થંડિકાસીથી લામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચલન ગામ પાસે તેમના વાહનને અકસ્માત નડ્યો હતો.

બીજા અકસ્માતમાં, બપોરે 3.30 વાગ્યે, રિયાસી જિલ્લાના બિદ્દા ગામમાં એક પરિવારના ચાર સભ્યોને લઈ જતી મહિન્દ્રા બોલેરો કાર 200 ફૂટ નીચે ખાડામાં પડી હતી, જેમાં ગુડ્ડી દેવી અને તેની પુત્રી શોભાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દેવીના પુત્ર મુકેશ સિંહ, જે વાહન ચલાવી રહ્યા હતા, તેનું પણ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યારે તેની ગંભીર રીતે ઘાયલ સગીર પુત્રીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, અધિકારીઓએ જણાવ્યું હતું.

શિમલામાં કાર ખાડામાં પડતાં 2નાં મોત અને 3 ઘાયલ

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના રોહરુ વિસ્તારમાં મંગળવારે એક કાર 200 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ લોકો રોહરુથી શિમલા જઈ રહ્યા હતા ત્યારે સમરકોટ-સુંગરી લિંક રોડ પર આ અકસ્માત થયો હતો. ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવતાં કાર ખાડામાં પડી હતી.

નોંધનીય વાત એ છે કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ બિલાસપુર જિલ્લાના ભોજપુર ગામના રહેવાસી લકી શર્મા અને સોલન જિલ્લાના અરકીના નવગાંવ ગામના રહેવાસી ઈશાંત તરીકે થઈ છે. ત્રણ ઘાયલોને રોહરુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 281 (બેદરકારીથી ડ્રાઇવિંગ), 125 (એ) (બેદરકારીથી ડ્રાઇવિંગથી ઇજા પહોંચાડવી) અને 106 (1) (બેદરકારીથી મૃત્યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

road accident jammu and kashmir news india national news