16 January, 2022 09:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હવે વૅક્સિનેશન પર જ દારોમદાર : નવી દિલ્હીમાં ગઈ કાલે હેલ્થ-વર્કર એક ટીનેજરને કોરોનાની રસીનો ડોઝ આપી રહી છે. નોંધપાત્ર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડાઈમાં વૅક્સિનેશન પર ખાસ ભાર મૂક્યો છે. તેમણે ખાસ કરીને કિશોરો માટે વૅક્સિનેશન મિશન મોડમાં ચલાવવા જણાવ્યું છે.
દેશની મુખ્ય મેડિકલ રીસર્ચ સંસ્થા આઇસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ) અને ડ્રગ્ઝ રેગ્યુલેટર ડીસીજીઆઇ (ડ્રગ્ઝ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા)ના ઓપિનિયનમાં મતભેદના કારણે અૅન્ટિવાઇરલ પિલ મોલનુપિરાવીરના ઉપયોગ બાબતે મેડિકલ જગત બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
અમેરિકાની બાયોટેક્નૉલૉજી કંપની રિગેબેક બાયોથેરાપ્યુટિક્સ દ્વારા અમેરિકન ફાર્મા કંપની મર્ક સાથે મળીને તૈયાર કરવામાં આવેલી આ નવી દવાને મૅજિક બુલેટ અને ગેમ ચેન્જર ગણાવવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એનાથી કોરોનાથી સંક્રમિતોમાં મૃત્યુ અને હૉસ્પિટલાઇઝેશનનું જોખમ ૩૩ ટકા ઘટી જાય છે. કેટલાક ડૉક્ટર્સ માને છે કે મોલનુપિરાવીર કોરોના સામેની લડાઈ માટે બેસ્ટ છે જ્યારે અનેક લોકો માને છે કે આ વાઇરલ ડિસીસની સારવારમાં કોઈ મૅજિક બુલેટ નથી. આઇસીએમઆરના ડિરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે આ ઑરલ ડ્રગને લીધે સેફ્ટીની ગંભીર ચિંતા છે.
મોલનુપિરાવીરને આમ તો ડીસીજીઆઇ દ્વારા મંજૂરી આપવામાં આવી છે એટલે એનો ઉપયોગ લીગલ છે. એટલા માટે જ ડૉક્ટર્સ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને એને પ્રિસ્ક્રાઇબ કરવા માટે મુક્ત છે. જોકે આઇસીએમઆર તરફથી ચેતવણી આપવામાં આવી હોવાના કારણે મેડિકલની દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.
આઇસીએમઆરના વડા ડૉ. ભાર્ગવ અનુસાર આ દવાથી ગર્ભમાં એબ્નોર્માલિટીઝ થઈ શકે છે. એ સિવાય સ્નાયુઓ અને કાર્ટિલેજને નુકસાન થઈ શકે છે. અમુક ડૉક્ટર્સનું એમ પણ જણાવવું છે કે આ દવા સગર્ભાઓને આપવામાં આવે તો તેમનાં બાળકોમાં જન્મજાત ખામી થઈ શકે છે. એ સિવાય એનાથી લોકોને કૅન્સર થવાનું તેમ જ વાઇરસમાં મ્યુટેશન્સનું પણ જોખમ રહેલું છે. આમ થોડા લાભ કરતાં જોખમ વધારે મોટું છે.
રોહતકની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસના પલ્મનરી અને ક્રિટિકલ કૅર મેડિસિન્સના હેડ ડૉ. ધ્રુવા ચૌધરીએ જણાવ્યું હતું કે ‘અમેરિકાના ફૂડ અૅન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન અને ડ્રગ્ઝ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ મંજૂરી આપતી વખતે આ દવાના સેફ્ટી ડેટાને ધ્યાનમાં રાખ્યો હતો. હવે ડીસીજીઆઇ દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે એના પર વિશ્વાસ કરવો જોઈએ.’
2,68,833
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા
6,041
ભારતમાં અત્યાર સુધીમાં ઓમાઇક્રોનના આટલા કેસ નોંધાયા