25 October, 2025 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ આજથી ૧૧ દિવસની અનોખી રામકથા પર નીકળવાના છે. આ યાત્રા દરમ્યાન ૮૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને ભારત અને શ્રીલંકાનાં આધ્યાત્મિક રીતે મહત્ત્વનાં ૯ સ્થળોએ રામકથા યોજવામાં આવશે.
મોરારીબાપુએ આ યાત્રાને ભગવાન રામે લીધેલા સત્યપથનું સ્મરણ ગણાવી હતી અને કહ્યું હતું કે જ્યાં પણ ભગવાન રામનું નામ પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે એ સ્થળ અયોધ્યા બની જાય છે.
ક્યાંથી ક્યાં જશે યાત્રા?
મધ્ય પ્રદેશના ચિત્રકૂટના અત્રિ મુનિ આશ્રમથી યાત્રાનો આરંભ થશે. બીજા દિવસે યાત્રા મધ્ય પ્રદેશના જ સતનામાં આવેલા અગસ્ત્ય મુનિ આશ્રમમાં પહોંચશે.
ત્રીજા દિવસે યાત્રા મહારાષ્ટ્રમાં નાશિકના પંચવટીમાં પહોંચશે.
ચોથા-પાંચમા અને છઠ્ઠા દિવસે યાત્રા કર્ણાટકમાં બેલગાવી જિલ્લામાં શબરી આશ્રમ, ત્યાંથી વિજયનગર જિલ્લામાં ઋષિમુખ પર્વત અને કોપ્પલ જિલ્લામાં પ્રશ્રવણ પર્વતનો પ્રવાસ કરશે.
સાતમા દિવસે તામિલનાડુના રામેશ્વરમમાં પહોંચશે.
આઠમો દિવસ રામેશ્વરમમાં વિતાવીને નવમા દિવસે યાત્રા ફ્લાઇટથી શ્રીલંકાના કોલંબો જશે.
દસમા દિવસે કોલંબોથી સીધી ફ્લાઇટમાં અયોધ્યા પહોંચીને યાત્રાનું સમાપન થશે.