30 November, 2021 06:10 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોનાને નવા વેરિયન્ટ Omicronને લઈ દુનિયામાં ચિંતા વધી છે. આની વચ્ચે ભારતમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હકીકતે કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં કહ્યું કે ભારતમાં હજી સુધી કોરોનાના નવા વેરિયન્ટનો એક પણ કેસ સામે આવ્યો નથી.
કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું કે કોરોનાનો નવો વેરિયન્ટ ભારત સુધી ન પહોંચે તે માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્રએ દુનિયાભરમાં નવા વેરિયન્ટને ધ્યાને રાખી એડવાઈઝરી જાહેર કરી છે. આ સિવાય બંદર પર પણ નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ કોરોના કેસોના જિનોમ સિક્વેસિન્ગ કરાવવામાં આવી રહ્યાં છે.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે અત્યાર સુધીમાં 14 દેશોમાં કોરોનાના એમિક્રોન વેરિયન્ટના કેસો જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે હજી સુધી ભારતમાં આનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સદ્નસીબે દેશમાં હજી નવા વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી.
તેમણે વધુમાં કહ્યું કે આ વેરિયન્ટને લઈ સાવધાની રાખવી જરૂરી છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે અમે કોરોના કાળ દરમિયાન ઘણું બધુ શીખ્યું છે. હવે અમારી પાસે તપાસ કરવા માટે સંશાધન અને લેબ છે. હજી સુધી ભારતમાં ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે પગલા લેવામાં આવી રહ્યાં છે કે દેશમાં આ વેરિટન્ટની દેખા ન થાય.
રસીકરણ પર ભાર મુકતા માંડવિયાએ કહ્યું કે ભારતમાં હજી પણ કોરોના રસીકરણને લઈ ડોર ટુ ડોર અભિયાન શરૂ છે. ભારતમાં અત્યાર સુધીમાં 124 કરોડ ડોઝ અપાઈ ચુકી છે.