02 June, 2025 06:56 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભોપાલમાં પુણ્યશ્ળોક અહિલ્યાબાઈ હોળકરની પ્રતિમાને નમન કરતા નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મધ્ય પ્રદેશના ભોપાલની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહા સંમેલનમાં ભાગ લીધો હતો. ગઈ કાલે પુણ્યશ્ળોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતી હતી. આ પ્રસંગે એક જનસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તીકરણનો મજબૂત સંદેશ આપ્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે ‘સિંદૂર આપણી પરંપરા છે, નારીશક્તિનું પ્રતીક છે. રામરંગમાં રંગાયેલા હનુમાનજીએ પણ સિંદૂરનો શ્રૃંગાર કર્યો હતો. શક્તિપૂજામાં પણ સિંદૂર અર્પણ કરવામાં આવે છે. આ સિંદૂર શૌર્યનું પ્રતીક બની ગયું. પહલગામમાં આતંકવાદીઓએ માત્ર ભારતીઓનું લોહી જ નથી વહાવ્યું, તેમણે આપણી સંસ્કૃતિ પર પણ પ્રહાર કર્યા. આપણા સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસ કર્યા. આતંકવાદીઓએ ભારતની નારીશક્તિને પણ પડકાર ફેંક્યો છે. આ પડકાર આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે કાળ બની ગયો.’