17 May, 2025 02:41 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
વિશાલ નામનો યુવક
ઉત્તરાખંડના કિચા ગામનો વિશાલ નામનો યુવક કામ માટે સમીર ઉર્ફે મોહલ્લા અલીખાન નામના એજન્ટ થકી દુબઈ ગયો હતો. જોકે પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતે સિંધુ જળસંધિ સસ્પેન્ડ કરીને પાકિસ્તાન સાથે પાણી શૅર કરવાનું બંધ કરતાં એની અસર છેક દુબઈ સુધી થઈ હતી. વિશાલ જે રૂમમાં રહેતો હતો એના રૂમમેટ્સ પાકિસ્તાની હતા. તેમણે ભારતે તોડેલી જળસંધિનો બદલો લેવા વિશાલને પાણી આપવાનું બંધ કરી દીધું. વિશાલ કહે છે, ‘તેમણે કહેલું કે ભારતે પાકિસ્તાનમાં વહેતા પાણીને રોક્યું છે અને એ અમારા દેશને તરસે મારવા માગે છે તો અમે પણ તને પાણી નહીં આપીએ.’
કાળઝાળ ગરમીમાં કેટલાય દિવસ સુધી પાણી ન મળવાથી વિશાલ માંદો પડી ગયો અને તેણે દુબઈથી ભારત ભાગી આવવાની કોશિશ પણ કરી, પરંતુ નિષ્ફળ ગયો. જોકે જ્યારે તેના પરિવારને આ બાબતે ખબર પડી તો તેમણે અહીંથી દુબઈ લઈ જનારા એજન્ટનો સંપર્ક કર્યો અને વિશાલને પાછો લાવવા કવાયત શરૂ કરી. બુધવારે તેને દુબઈથી પાછો ઇન્ડિયા લાવવામાં આવ્યો હતો.