શોએબ અખ્તરે PCBના વડા મોહસિન નકવીને જાહેરમાં અજ્ઞાની ને અસમર્થ ગણાવ્યો

17 February, 2026 10:49 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

ભારત સામેની T20 વર્લ્ડ કપ હાર બાદ પાકિસ્તાની ન્યુઝ-ચૅનલ પર શોએબ અખ્તર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ સાથે ચૅનલ-ચર્ચામાં જોડાયો હતો

શોએબ અખ્તર

ભારત સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાકિસ્તાનને મળી રહેલી વારંવારની અસફળતાથી શોએબ અખ્તર જેવા ભૂતપૂર્વ ક્રિકેટર્સનો ગુસ્સો સાતમે આસમાને પહોંચ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે નામ લિધા વિના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવીને જાહેરમાં અજ્ઞાની અને અસમર્થ કહી દીધો છે.

ભારત સામેની T20 વર્લ્ડ કપ હાર બાદ પાકિસ્તાની ન્યુઝ-ચૅનલ પર શોએબ અખ્તર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ સાથે ચૅનલ-ચર્ચામાં જોડાયો હતો. આ દરમ્યાન શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘જો તમે મને આ ચૅનલનો ચૅરમૅન બનાવશો તો મને ખબર નહીં પડે કે આ કેવી રીતે કામ કરે છે. હવે તમે એવી વ્યક્તિને ચૅરમૅન બનાવી છે જેને ક્રિકેટ શું છે એ ખબર નથી. આપણે શું કરી શકીએ? આ ટીમ કેવી રીતે કામ કરશે?’

શોએબ અખ્તરે વધુમાં કહ્યું હતું કે ‘તમારી પાસે એક એવો ખેલાડી છે જેને તમે સુપરસ્ટાર (બાબર આઝમ) બનાવી દીધો છે અને તે તમને એક પણ મૅચ જિતાડી શકતો નથી. દુનિયાનો સૌથી મોટો ગુનો એ છે કે એક અસમર્થ વ્યક્તિને સૌથી મોટું કામ સોંપવું. જ્યારે એક અસમર્થ અને જાહિલ (અજ્ઞાની) વ્યક્તિને મોટું કામ સોંપવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારની અરાજકતા અને નુકસાન થઈ શકે છે. ભારત ઘણું આગળ નીકળી ગયું છે અને આપણે ઘણા પાછળ રહી ગયા છીએ.’ 

t20 world cup international cricket council world cup india indian cricket team team india pakistan mohsin naqvi shoaib akhtar mohammed kaif cricket news sports sports news