04 March, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૅમ કરૅન
મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં આવતી કાલે ગુરુવારે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી સેમી-ફાઇનલ મૅચ રમાશે. ૩૩,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં બ્લુ જર્સીમાં હાજર ક્રિકેટ-ફૅન્સ ટીમ ઇન્ડિયા માટે બારમા ખેલાડીનું કામ કરે છે. જોકે ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅને સેમી-ફાઇનલ મૅચ પહેલાં ભારતીય ફૅન્સને પોતાના પ્રદર્શનથી શાંત રાખવાની ખાતરી આપી છે. ૨૦૨૩ની વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ મૅચ પહેલાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ-ફૅન્સ માટે પણ આવી જ ચેતવણી આપી હતી.
૨૭ વર્ષના સૅમ કરૅને પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘વાનખેડે સ્ટેડિયમ એક પ્રતિષ્ઠિત સ્ટેડિયમ છે. મને ખાતરી છે કે ગુરુવારે એ શાંત રહેશે. એક ઉચ્ચ સ્કોરિંગ મૅચની અપેક્ષા છે. અમને કોઈ પણ વસ્તુથી ડર નથી અને બન્ને ટીમો ગુરુવારે રાત્રે પડકાર માટે ઉત્સાહિત છે. જો દર્શકો શાંત રહેશે તો ઇંગ્લૅન્ડ સારું પ્રદર્શન કરશે.’