17 February, 2025 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ સ્ટાર સ્પિનર રવિચન્દ્રન અશ્વિન પોતાની યુટ્યુબ ચૅનલથી ક્રિકેટજગતની ઘટનાઓ પર પોતાના વિચાર મૂકી રહ્યો છે. તેણે હાલમાં જ ભારતીય ક્રિકેટમાં ચાલી રહેલા સુપરસ્ટાર કલ્ચરનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.
૭૬૫ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર અશ્વિન યુટ્યુબ ચૅનલ પર કહે છે, ‘ભારતીય ક્રિકેટમાં પરિસ્થિતિ સામાન્ય રાખવાની જરૂર છે. આપણે ભારતીય ક્રિકેટ-ટીમમાંથી આ સુપરસ્ટાર અને સુપર સેલિબ્રિટી કલ્ચરને દૂર કરવું પડશે. ભવિષ્યમાં પરિસ્થિતિ સામાન્ય રાખવાની જરૂર છે. આપણે ક્રિકેટર છીએ, પ્લેયર્સ છીએ, અભિનેતા કે સુપરસ્ટાર નહીં. આપણે એવા બનવું પડશે કે સામાન્ય માણસ આપણને પોતાની નજીક શોધી શકે અને આપણી સાથે પોતાની તુલના કરી શકે.’
અશ્વિને આગળ કહ્યું, ‘જો તમે રોહિત શર્મા કે વિરાટ કોહલી છો, તો તમે તમારી કરીઅરમાં ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે. આવી સ્થિતિમાં, વધુ એક સેન્ચુરી ફટકારવી એ તમારી સિદ્ધિ ન હોઈ શકે. આ સામાન્ય છે અને આ સિદ્ધિઓ કરતાં મોટાં લક્ષ્યો હોવાં જોઈએ.’