આજે વિજય હઝારે ટ્રોફીની મૅચમાં મેદાનમાં ઊતરશે વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ ઐયર

06 January, 2026 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ પહેલાં ત્રણેય ક્રિકેટર્સ પાસે પોતાનો શાનદાર લય જાળવવા કે લય પાછો મેળવવાની આ સારી તક રહેશે

વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શુભમન ગિલ

વિજય હઝારે ટ્રોફીની વર્તમાન સીઝનના ગ્રુપ-સ્ટેજ રાઉન્ડની પાંચ મૅચ પછી ટીમો હવે છેલ્લી બે મૅચ રમવા સજ્જ થઈ છે. આજે અને ૮ જાન્યુઆરીએ દરેક ટીમ પોતાની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. ૧૨થી ૧૮ જાન્યુઆરી વચ્ચે ક્વૉર્ટર ફાઇનલથી ફાઇનલ સુધીની મૅચ રમાશે. પગમાં ઇન્જરીને કારણે મુંબઈનો રેગ્યુલર કૅપ્ટન શાર્દૂલ ઠાકુર ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. વાપસી કરી રહેલા શ્રેયસ ઐયરને બાકીની મૅચ માટે કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.

લીગ-સ્ટેજ પછી શ્રેયસ ઐયરનું કૅપ્ટન તરીકે ચાલુ રહેવું એ નૅશનલ ડ્યુટી માટે ફિટનેસ ક્લિયરન્સના નિર્ણય પર નિર્ભર રહેશે. ૧૧થી ૧૮ જાન્યુઆરી વચ્ચે આયોજિત ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ માટેની ટીમમાં પણ શ્રેયસ ઐયર સિલેક્ટ થયો છે. બરોળની ઇન્જરીની સારવાર બાદ શ્રેયસ ઐયર આજે પહેલી વખત પ્રોફેશનલ મૅચ રમવા ઊતરશે.

ફૂડ-પૉઇઝિંગનો સામનો કર્યા બાદ શુભમન ગિલ આજે પંજાબ વતી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માટે રમવા ફિટ છે. ઓછામાં ઓછી બે મૅચ રમવાની પ્રતિબદ્ધતા પૂરી કરવા છતાં વિરાટ કોહલી આજે દિલ્હી માટે રમવા ઊતરશે. ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ પહેલાં ત્રણેય ક્રિકેટર્સ પાસે પોતાનો શાનદાર લય જાળવવા કે લય પાછો મેળવવાની આ સારી તક રહેશે. 

vijay hazare trophy shardul thakur shreyas iyer mumbai shubman gill punjab virat kohli new delhi cricket news sports sports news