25 June, 2021 03:46 PM IST | Mumbai | Priti Khuman Thakur
કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટી
કાંદિવલીની હીરાનંદાની હેરિટેજ સોસાયટીમાં કરાયેલા કૅમ્પને કારણે બનાવટી વૅક્સિન કૅમ્પનું કૌભાંડ બહાર આવતાં રાજ્ય સરકારે ગઈ કાલે હાઈ કોર્ટમાં એ સંદર્ભે એનો અહેવાલ આપતાં કહ્યું હતું કે મુંબઈમાં ૯ જગ્યાએ આવા બનાવટ વૅક્સિન કૅમ્પ યોજાયાનું અત્યાર સુધી જાણમાં આવ્યું છે. એ સંદર્ભે ૪ જગ્યાએ એફઆઇઆર નોંધી હાલ એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચે આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકાર અને સુધરાઈને કહ્યું છે કે જે લોકોએ એ વૅક્સિન લીધી છે તેમને એની કોઈ માઠી અસર ન થાય એ માટે તેમની ચકાસણી કરી જરૂરી પગલાં લો. અમારી ચિંતા એ છે જેમણે એ વૅક્સિન લીધી તેમનું શું થયું? તેમની એ વૅક્સિનની શી અસર થઈ? એ વૅક્સિનમાં ખરેખર શું હતું?
કોર્ટે એ બાબત પણ નોંધી હતી કે આટલું બધું થવા છતાં રાજ્ય સરકારે પ્રાઇવેટ સોસાયટીઓ અને ઑફિસોમાં યોજાતા વૅક્સિનેશન કૅમ્પ માટેની ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડી નથી. કોર્ટે કહ્યું હતું કે આ બાબત બહુ જ મહત્ત્વની હોવાથી અર્જન્ટ છે. રાજ્ય સરકાર વહેલી તકે આ માટેની એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર) બહાર પાડે એ જરૂરી છે. આ બાબતે મોડું કરશો તો એ નહીં પાલવે.
ગઈ કાલે સરકાર તરફથી આ કેસનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટને સુપરત કરવામાં આવ્યો હતો. જેમાં સરકારે અત્યાર સુધીમાં ૨૦૫૩ લોકો આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું કહ્યું હતું. આ સિવાય અત્યાર સુધીમાં ૪૦૦ વિટનેસના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. સુધરાઈ તરફથી રજૂઆત કરતા સિનિયર ઍડ્વોકેટ અનિલ સાખરેએ કહ્યું હતું કે ‘અમે પણ આ (ફેક વૅક્સિન) કિસ્સાઓની તપાસ ચલાવી રહ્યા છીએ. વૅક્સિન લેનારાઓને તેમના સર્ટિફિકેટ એ જ દિવસે મળ્યાં નહોતાં અને ત્યાર બાદ ૩ અલગ-અલગ હૉસ્પિટલ તરફથી સર્ટિફિકેટ ઇશ્યુ થતાં તેમને જાણ થઈ હતી કે આમાં કશુંક ખોટું થયું છે. જ્યારે કે હૉસ્પિટલો દ્વારા એમ કહેવાયું છે કે તેમણે એ કૅમ્પમાં વૅક્સિનનાં ઇન્જેક્શન પૂરાં પાડ્યાં નથી. અમે આ બાબતે સીરમ ઇન્સ્ટિટ્યૂટને પણ પત્ર લખ્યો છે.’
કોર્ટે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાને આ બાબતે તેમનો જવાબ ઍફિડેવિટ દ્વારા નોંધાવવાનું કહી આગળની સુનાવણી ૨૯ જૂન પર મુલતવી રાખી હતી.