25 October, 2024 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય ચૌધરી
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)માંથી શિવડી વિધાનસભા બેઠક પર ફેમસ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સેક્રેટરી સુધીર સાળવી અને ઉદ્ધવ ઠાકરેની નજીકના ગણાતા આ બેઠકના વિધાનસભ્ય અજય ચૌધરી વચ્ચે રસ્સીખેંચ ચાલી રહી હતી. ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે જૂથે અજય ચૌધરીને ઉમેદવારી આપવાનો નિર્ણય લીધો હતો એટલે શિવડી બેઠકનો ઉકેલ આવ્યો છે અને સુધીર સાળવીને ઉમેદવારી આપવામાં આવશે કે કેમ એ ચર્ચાનો અંત આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યા બાદ અજય ચૌધરી ઉદ્ધવ ઠાકરેના પડખે રહ્યા હતા. ગઈ કાલે શિવડી વિધાનસભાના શાખાપ્રમુખ માતોશ્રી પહોંચ્યા હતા. તેણે ઉદ્ધવ ઠાકરે સહિતના પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે શિવસેનાના ગઢ શિવડીમાં અજય ચૌધરીને જ શા માટે ફરી ટિકિટ આપવામાં આવવી જોઈએ એ વિશે ચર્ચા કરી હતી. બાદમાં સર્વાનુમતે અજય ચૌધરીને જ ઉમેદવારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.