Coronavirus Updates: મૃત્યુઆંકે ફરી વધારી ચિંતા, ચોવીસ કલાકમાં ૬,૧૪૮નાં મોત

10 June, 2021 02:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશમાં વધુ એકવાર એક દિવસમાં એક લાખ કરતા ઓછા કેસ નોંધાયા

કોલકત્તામાં એક વૃદ્ધ મહિલાને વૅક્સિન આપતી આરોગ્ય કર્મચારી (તસવીરઃ એએફપી)

ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર તો ધીમી પડી છે. પરંતુ મૃત્યુઆંક હજી પણ ચિંતામાં વધારો કરી રહ્યો છે. છેલ્લા એક દિવસમાં નોંધાયેલા મૃત્યુઆંકે તમામ રેકોર્ડ તોડી દીધા છે. દેશમાં એક જ દિવસમાં ૬,૦૦૦થી વધુ મૃત્યુ થયા છે. જોકે, આ મૃત્યુઆંકમાં બિહારના બેકલૉગ ૩,૯૫૧ મૃત્યુઆંકનો પણ સમાવેશ છે. પરંતુ રાહતની વાત એ છે કે, નવા નોંધાતા કેસ એક લાખથી પણ ઓછા છે.

ગુરુવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ૯૪,૦૫૨ નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેમજ ૬,૧૪૮ લોકોએ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને લીધે જીવ ગુમાવ્યો છે. આ સિવાય ગત ચોવીસ કલાકમાં ૧,૫૧,૩૬૭ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૯૧,૮૩,૧૨૧ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૨,૭૬,૫૫,૪૯૩ લોકો કોરોનામાંથી સાજા થયા છે અને કુલ ૩,૫૯,૬૭૬ લોકોના મોત થયા છે. દેશમાં અત્યારે ૧૧,૬૭,૯૫૨ એક્ટિવ કેસ છે. તદઉપરાંત, દેશમાં અત્યાર સુધી કુલ ૨૩,૯૦,૫૮,૩૬૦ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ગુરુવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ૯ જૂન સુધીમાં ભારતમાં કુલ ૩૭,૨૧,૯૮,૨૫૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારે ૨૪ કલાકમાં ૨૦,૦૪,૬૯૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે બુધવારે કોરોનાના ૩૩૭ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૭૫૨ લોકો સાજા થયા હતા અને ૩૬ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ દિલ્હીમાં અત્યારસુધીમાં ૧૪,૩૦,૧૨૮ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી ૧૪,૦૦,૯૧૩ લોકો સાજા થયા છે અને કુલ ૨૪,૭૦૪ દર્દી મૃત્યુ પામ્યા છે. હાલ ૪,૫૧૧ એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે બુધવારે કોરોનાના ૧૦,૯૮૯ નવા કેસ નોંધાયા હતા. તેમજ ૧૬,૩૭૯ લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે અને ૬૬૧ લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૫૮,૬૩,૮૮૦ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાંથી કુલ ૫૫,૯૭,૩૦૪ લાખ લોકો સાજા થયા છે અને કુલ ૧,૦૧,૮૩૩ લોકોનાં મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યારે ૧,૬૪,૭૪૩ એક્ટિવ કેસ છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે બુધવારે કોરોનાના ૬૪૪ નવા કેસ નોંધાયા હતા. તેમજ છેલ્લા ચોવીસ કલાકમાં ૧,૬૭૫ લોકો સાજા થયા હતા અને ૧૦ લોકોના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં ૮,૧૮,૩૫૧ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી કુલ ૭,૯૪,૭૦૩ લોકો સાજા થયા છે અને ૯,૯૬૫ દર્દીઓના મોત થયા છે. હાલ રાજ્યમાં ૧૩,૬૮૩ એક્ટિવ કેસ છે.

coronavirus covid19 national news india maharashtra gujarat new delhi