04 June, 2025 12:17 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રાહુલ ગાંધીની મુલાકાત દરમ્યાન એક નવો વિવાદ ઊભો થયો છે. કૉન્ગ્રેસનું ‘સંગઠન સૃજન અભિયાન’ શરૂ કરવા માટે ભોપાલ પહોંચેલા રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ આપી હતી, પરંતુ આ દરમ્યાન તેમણે પોતાનાં બૂટ નહોતાં કાઢ્યાં. ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય પ્રધાન મોહન યાદવે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી છે.
મુખ્ય પ્રધાન મોહન યાદવે કહ્યું હતું કે ‘લોકશાહીમાં દરેકને અહીં આવવાનો અધિકાર છે અને રાહુલ ગાંધી આપણા રાજ્યમાં આવ્યા છે એ સારી વાત છે, પરંતુ દાદીજીને પુષ્પાંજલિ આપતી વખતે તેમણે પોતાનાં બૂટ ન કાઢ્યાં જે આપણાં મૂલ્યોની વિરુદ્ધ છે. તેમણે આ ધ્યાનમાં રાખવું જોઈએ. આપણી સંસ્કૃતિમાં આવી સંવેદનશીલતાની ભાવના છે.’
BJPએ એને સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે અસંવેદનશીલતા ગણાવી હતી. આ ઘટનાએ રાહુલ ગાંધીની મુલાકાતને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે અને BJPએ એને કૉન્ગ્રેસ વિરુદ્ધ મુદ્દો બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
કૉન્ગ્રેસનો સણસણતો જવાબ
કૉન્ગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ મુકેશ નાયકે કહ્યું હતું કે ‘અમે બહુબધી ધાર્મિક વિધિઓમાં માનતા નથી. સંસ્કારના નામે લોકોને મૂર્ખ બનાવવાનો, કટ્ટરતાને પ્રોત્સાહન આપવાનો અને નકલી લોકોને નકલી કપડાં પહેરાવીને જાહેરમાં ઊભા કરવાનો સમય ભારતમાં પૂરો થઈ ગયો છે. લોકો આનાથી કંટાળી ગયા છે.’