ટ્રમ્પે કહ્યું કે શરણાગતિ સ્વીકારો અને અહીં નરેન્દ્ર મોદીએ તરત જ માની લીધું

05 June, 2025 06:58 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

યુદ્ધવિરામ વિશે ભોપાલમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર

ગઈ કાલે ભોપાલમાં બોલતા રાહુલ ગાંધી.

કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJP પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલે યુદ્ધવિરામ અંગે નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે ‘વડા પ્રધાનને ટ્રમ્પ તરફથી શરણાગતિ સ્વીકારવાનો કૉલ આવ્યો છે. જો BJPના લોકો પર થોડું પણ દબાણ કરવામાં આવે તો તેઓ ડરીને ભાગી જાય છે.’

દેશમાં વિચારધારાની લડાઈ પર ભાર મૂકતાં રાહુલ ગાંધીએ BJP પર બંધારણને નબળું પાડવાનો અને સામાજિક ન્યાયની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે ‘ડોનલ્ડ ટ્રમ્પે ત્યાંથી ફોન કરીને કહ્યું કે વડા પ્રધાન શરણાગતિ સ્વીકારો, અને અહીં નરેન્દ્ર મોદીએ તરત જ ‘હા સર’ કહીને તેમના ઇશારાનું પાલન કર્યું. તેમનો શરણાગતિનો ઇતિહાસ છે. કૉન્ગ્રેસ સામાજિક ન્યાય માટેની લડાઈને મજબૂત બનાવશે. અમે લોકસભામાં જાતિગત વસ્તીગણતરી પસાર કરાવીશું.’

રાહુલે ૧૯૭૧ના યુદ્ધને કર્યું યાદ 
રાહુલ ગાંધીએ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતી વખતે ઇન્દિરા ગાંધીની દૃઢતાને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે અમેરિકાનો સાતમો કાફલો ભારતને ધમકી આપવા આવ્યો ત્યારે ઇન્દિરાજીએ કહ્યું હતું કે હું જે કરવા માગું છું એ કરીશ. જોકે BJP-RSSનું એવું છે કે તેઓ દબાણ હેઠળ તરત જ ઝૂકી જાય છે.’

rahul gandhi narendra modi donald trump bharatiya janata party bhopal congress Lok Sabha parliament indian government political news national news news