10 June, 2021 06:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્મૃતિ ઇરાની (તસવીર સૌજન્ય મિડ-ડે)
કોરોનાવાયરસ સંકટના મેનેજમેન્ટ અને વૅક્સિનેશન ડ્રાઇવને લઈને મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસ સતત સરકાર પર વાર કરી રહી છે. તો, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સતત સરકારની વૅક્સિનેશન પૉલિસીને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે એક મુદ્દે ટ્વીટ કર્યું હતું, જેના પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વળતો જવાબ આપ્યો છે. ઇરાની ઘણીવાર ગાંધીના ટ્વીટ અને નિવેદનો પર પલટવાર કરતી જોવા મળે છે.
હકીકતે, રાહુલે એક ટ્વીટમાં વૅક્સિનેશન માટે ઑફલાઇ રજિસ્ટ્રેશનની ભલામણ કરી હતી, જેના પર સ્મૃતિ અરાનીએ એક ટ્વીટ કરીને જણાવ્યું કે કેન્દ્ર સરકારે પહેલા જ રાજ્યોને પરવાનગી આપી દીધી છે. રાહુલે પોતાના ટ્વીટમાં લખ્યું હતું, "વૅક્સિન માટે ફક્ત ઑનલાઇન રજિસ્ટ્રેશન પૂરતું નથી. વૅક્સિન સેન્ટર પર વૉક-ઇન કરનારા દરેક વ્યક્તિને વૅક્સિન મળવી જોઇએ. જીવનનો અધિકાર તેમને પણ છે જેમની પાસે ઇન્ટરનેટ નથી."
આ મુદ્દે સ્મૃતિ ઇરાનીએ જવાબ આપ્યો છે કે, "કહત કબીર-બોયા પેડ બબૂલ કા, આમ કહાં સે હોય. સમજનારા સમજી ગયા હશે. કેન્દ્ર સરકારે પહેલાથી જ વૉક-ઇન રજિસ્ટ્રેશન માટે રાજ્યોને સ્વીકૃતિ આપી દીધી છે. ભ્રમ ન ફેલાવો, વૅક્સિન મૂકાવો."
જણાવવાનું કે મેના છેલ્લા અઠવાડિયામાં વૅક્સિનેશન ડ્રાઇવ ઝડપી અને વૅક્સિનના વેડફાટને અટકાવવાના ઉદ્દેશ્યથી 18થી 44 વર્ષના લોકો માટે ઑન સાઇટ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત થઈ હતી. એટલે કે આ વર્ગના લોકો માટે ઑનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા તો છે જ, લોકો ઑફલાઇન પણ વૅક્સિનેશન સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે. જો ઑનલાઇન રજિસ્ટ્રેશન દ્વારા તેટલા લાભાર્થી નથી પહોંચતા અને વૅક્સિનના ડૉઝ અવેલેબલ છે, તો સેન્ટર પર રજિસ્ટર્ડ લોકોને પણ વૅક્સિન મૂકવાની વાત હતી.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી વધુ એક ઑફિશિયલ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે રાજ્ય અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે ચર્ચા પછી હવે આ વયજૂથના લોકો માટે ઑનસાઇટ રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.