Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મોબાઇલના અપડેટની જેમ પોર્ટફોલિયો પણ અપડેટ કરતા રહેવું

મોબાઇલના અપડેટની જેમ પોર્ટફોલિયો પણ અપડેટ કરતા રહેવું

Published : 26 July, 2026 05:25 PM | IST | Mumbai
Khyati Mashru Vasani

AI આજે રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર છે. એમાં મોટી તકો છે, પરંતુ ઇતિહાસ શીખવે છે કે દરેક નવી ટેક્નૉલૉજી દરેક રોકાણકાર માટે સમાન રીતે લાભદાયી બનતી નથી. ડૉટકૉમ યુગમાં ઇન્ટરનેટે સમગ્ર વિશ્વ બદલી નાખ્યું હતું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આજે આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. મોબાઇલ ફોનમાં દર થોડાં અઠવાડિયે નવાં સૉફ્ટવેર અપડેટ આવે છે. બાળકો પણ નાની ઉંમરથી ડિજિટલ પેમેન્ટ, ઑનલાઇન બૅન્કિંગ તથા રોકાણ જેવી બાબતો વિશે જાણકારી મેળવવા લાગ્યાં છે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, પરંતુ એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું આપણે આપણા રોકાણને લગતા વર્તનને પણ સમયની સાથે બદલીએ છીએ?

ઘણા લોકો વર્ષો પહેલાં કરેલું રોકાણ આજે પણ કોઈ સમીક્ષા કર્યા વિના ચાલુ રાખે છે. તેઓ માને છે કે એક વખત યોગ્ય નિર્ણય લઈ લીધો એટલે હવે વર્ષો સુધી કંઈ કરવાની જરૂર નથી. જોકે ટેક્નૉલૉજી, અર્થતંત્ર અને વ્યક્તિગત જીવન સતત બદલાતાં રહે છે. તેથી નાણાકીય આયોજન પણ સમયાંતરે બદલવું જરૂરી બની જાય છે.



આજે માહિતીનો અભાવ નથી. સોશ્યલ મીડિયા, યુટ્યુબ, AI-આધારિત સલાહ, શૅરબજારના નિષ્ણાતો અને સતત આવતા સમાચાર રોકાણકારોને અનેક વિચારો આપે છે; પરંતુ વધુ માહિતી હોવાનો અર્થ વધુ સમજણ હોય એવો નથી. ઘણી વાર લોકો ચર્ચામાં રહેલા ટ્રેન્ડને જોઈને રોકાણ કરી બેસે છે અને પછી બજારની દિશા બદલાઈ જાય ત્યારે નિરાશ થાય છે.


AI આજે રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર છે. એમાં મોટી તકો છે, પરંતુ ઇતિહાસ શીખવે છે કે દરેક નવી ટેક્નૉલૉજી દરેક રોકાણકાર માટે સમાન રીતે લાભદાયી બનતી નથી. ડૉટકૉમ યુગમાં ઇન્ટરનેટે સમગ્ર વિશ્વ બદલી નાખ્યું હતું. છતાં અનેક ઇન્ટરનેટ કંપનીઓના શૅર ભારે તૂટી પડ્યા હતા. ટેક્નૉલોજી સફળ રહી, પરંતુ ઊંચા ભાવે રોકાણ કરનારાઓએ નુકસાન સહન કરવું પડ્યું હતું. એટલે ચર્ચાના ચકડોળે ચડેલા કોઈ પણ સાધનમાં રોકાણ કરવાનો નિર્ણય વિચારપૂર્વક લેવો જરૂરી છે.

આપણું જીવન પણ સમય સાથે બદલાય છે. આવકમાં વધારો થાય છે, પરિવારની જવાબદારીઓ વધે છે, બાળકોના શિક્ષણથી લઈને નિવૃત્તિ સુધીનાં નવાં લક્ષ્યો ઊભાં થાય છે, કરવેરાના નિયમો બદલાય છે અને બજારની સ્થિતિ પણ બદલાતી રહે છે. આવી સ્થિતિમાં ૧૦ કે ૧૫ વર્ષ પહેલાં બનાવેલો પોર્ટફોલિયો આજે પણ એટલો જ યોગ્ય રહેશે એવું માનવું બરોબર નથી.


એનો અર્થ એવો પણ નથી કે દર થોડા મહિને રોકાણ બદલવું જોઈએ. સમજદારી એમાં છે કે વર્ષે એક વાર પોતાના પોર્ટફોલિયોની સમીક્ષા કરવી તથા જોખમ લેવાની ક્ષમતા, નાણાકીય લક્ષ્યો અને રોકાણમાં વૈવિધ્યકરણ યોગ્ય છે કે નહીં એ તપાસવું. સતત ખરીદી-વેચાણ કરતાં વિચારપૂર્વકની સમીક્ષા વધુ મહત્ત્વની છે.

આખરે સૌથી મોટું જોખમ AIમાં રોકાણ કરવાની તક ચૂકી જવાનું નથી. સાચું જોખમ જૂના નાણાકીય નિર્ણયો પર જ અટકી રહેવામાં છે. જેમ આપણે મોબાઇલને સમયસર અપડેટ કરીએ છીએ એમ પોતાના રોકાણને પણ સમયાંતરે નવી દિશા આપવી જોઈએ. બદલાતા સમયને અનુરૂપ નિર્ણય લેનારા અને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરનારા લોકો જ લાંબા ગાળે સાચા અર્થમાં સફળ રોકાણકાર બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2026 05:25 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK