એવા દાખલાઓ છે કે ગુજરાતીઓ વિદેશમાં જઈને ગુજરાતી ભાષાનો પ્રચાર કરે અને તેમનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
માતૃભાષા ગંગોત્રી છે અને ગંગોત્રીમાંથી જો પાણી આવતું બંધ થઈ જાય તો એના સાહિત્યને કોણ જોવાનું છે? અત્યારના સાહિત્યના પ્રોગ્રામમાં સિનિયર સિટિઝનો જ દેખાય, કારણ કે બાળકોને તેમની માતૃભાષા બોલતાં આવડતી નથી. ગંગોત્રીનું ગૌમુખ શાળાઓ છે એટલે માતૃભાષાની શાળાઓ બચાવવાની જરૂર છે. ભાષા હશે તો જ આપણી મૂળ સંસ્કૃતિ, વારસો અને ભારતીયતા રહેશે. ભારતમાં દરેક રાજ્યમાં પોતાની ભાષા સાથે સંસ્કારો, પ્રણાલીઓ અને સંસ્કૃતિ જોડાયેલાં છે. સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી આપણી ભારતીય ભાષાઓ વીસરાતી જાય છે, જ્યારે પશ્ચિમના દેશો એ જ ભાષાનો ઉપયોગ કરી પેટન્ટ મેળવીને આગળ વધી રહ્યા છે. એ વાત જ્યારે આપણા સુધી પહોંચે ત્યારે આપણે આપણી ભાષા પર ગર્વ કરીએ એના કરતાં આપણે જ આપણી વસ્તુ સાચવીને લોકોને એ દિશા તરફ કેમ ન પાછા વાળીએ?
બે વર્ષ પહેલાં અમે ‘માતૃભાષાની શાળાઓ પૂછે છે તેમની આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ?’ આવી સ્પર્ધા કરી હતી જેમાં શાળાના સંચાલકો, સરકારી નીતિઓ, મીડિયાનો અસહકાર તેમ જ સમાજની માનસિકતા જેવાં પરિબળો ધ્યાનમાં આવ્યાં. ભાષાની કફોડી સ્થિતિ માટે બીજાને દોષ દઈને હાથ ઉપર ન કરી શકાય. આ આપણી સહિયારી નિષ્ફળતા છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે માત્ર ભાષાનો પ્રચાર જ નહીં, વૈજ્ઞાનિક દૃષ્ટિએ એની સમજણ આપવી પણ જરૂરી છે. અમે ગુજરાતી અને અંગ્રેજીમાં ભણતા વિદ્યાર્થીઓના પેરન્ટ્સ સાથે અવારનવાર મીટિંગ કરીએ છીએ. એવી માન્યતા કે ગરીબો ગુજરાતી માધ્યમમાં અને અમીરો અંગ્રેજી માધ્યમમાં ભણે એ બદલવાની જરૂર છે. બન્ને માધ્યમમાં ભણતા વાલીઓને અમે સમજાવીએ છીએ કે માતૃભાષામાં ભણવાથી કયા અમૂલ્ય વારસા સાથે તેઓ વાકેફ થશે.
ADVERTISEMENT
ભાષાને ફરી ધબકતી કરવા માટે જાગૃતિ બહુ જ જરૂરી છે. છેલ્લાં દસ વર્ષથી આપણી સરકાર પણ આપણી ભાષા અને સંસ્કૃતિના મૂળને ફરી પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી રહી છે. ભારતના ભવિષ્ય માટે બાળકને પોતાની માતૃભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. પેરન્ટ્સ અને બાળકોને પોતાના વારસા પર ગર્વ થવો જોઈએ. આજની શાળાઓને બચાવવા માટે લોકોએ હિંમત કેળવવાની જરૂર છે, પોતાની ભાષાને સ્વીકારવાની જરૂર છે. એવા દાખલાઓ છે કે ગુજરાતીઓ વિદેશમાં જઈને ગુજરાતી ભાષાનો પ્રચાર કરે અને તેમનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે. શિક્ષણ બહુ જ વ્યવસાયલક્ષી થઈ ગયું છે. આજે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલની શાળામાં ગુજરાતી વિષયનો પ્રવેશ થયો છે તો અન્ય શાળાઓએ પણ માતૃભાષાના વર્ગો શરૂ કરવા જોઈએ.
અહેવાલ : ભાવેશ મહેતા