Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આવક વધે ત્યારે શું જીવનશૈલીમાં પણ સુધારો થવો જરૂરી છે?

આવક વધે ત્યારે શું જીવનશૈલીમાં પણ સુધારો થવો જરૂરી છે?

Published : 23 August, 2026 06:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવક વધે ત્યારે ઘર, કાર અને સુવિધાઓ પાછળનો ખર્ચ વધારવો સ્વાભાવિક છે, પરંતુ વધતી જીવનશૈલી ભવિષ્યમાં નાણાકીય દબાણ ઊભું કરી શકે છે. લાંબા ગાળાની આર્થિક સ્વતંત્રતા માટે આવક અને કાયમી ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે.

ખ્યાતિ મશરૂ-વસાણી

ખ્યાતિ મશરૂ-વસાણી


પગાર વધે, બિઝનેસની આવક વધે કે મોટું બોનસ મળે એટલે આપણે સૌથી પહેલાં શું વિચારીએ? મોટું ઘર, નવી કાર, રજાઓ કે નવાં ગૅજેટ્સ. આમાં કશું ખોટું નથી. પૈસા કમાવાનો હેતુ જીવનને વધુ સારું બનાવવાનો પણ છે. જોકે સવાલ એ છે કે આજે જે જીવનશૈલી આપણને પરવડે છે એ શું આવતી કાલે પણ સહેલાઈથી જાળવી શકીશું?
સામાન્ય રીતે આપણે આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન આવક, બચત, રોકાણ, લોન અને ખર્ચના આધારે કરીએ છીએ; પરંતુ જીવનશૈલીની પણ એક બૅલૅન્સશીટ હોય છે. એમાં જીવનશૈલીને જાળવી રાખવા માટે ઊભી થતી સતત નાણાકીય જવાબદારીઓનો સમાવેશ થાય છે.
ધારો કે આવક વધ્યા પછી એક પરિવાર નાનું ઘર છોડીને મોટું ઘર લે છે. લોનના હપ્તા શરૂઆતમાં સરળ લાગે છે. પછી મોટી કાર આવે, બાળકોના શિક્ષણનો ખર્ચ વધે, રજાઓમાં ફરવા જવાનું થાય અને બીજી સુવિધાઓ ઉમેરાય. દરેક નિર્ણય અલગથી પરવડે એવો લાગે, પરંતુ બધા ખર્ચ ભેગા થાય ત્યારે પરિવારનો દર મહિને થતો કાયમી ખર્ચ ઘણો વધી જાય.
આ સ્થિતિની અસર ત્યારે સમજાય છે જ્યારે સંજોગો બદલાય છે. નોકરીમાં ફેરફાર થાય, બિઝનેસ ધીમો પડે, વહેલી નિવૃત્તિ લેવી પડે, પરિવાર પર અણધારી જવાબદારી આવે અથવા થોડા સમય માટે આવક ઘટી જાય ત્યારે પહેલાંની આરામદાયક જીવનશૈલી જાળવવી મુશ્કેલ બની શકે છે. સમસ્યા હંમેશાં વધારે ખર્ચ થઈ જવાની નથી. ઘણી વખત એટલી કાયમી જવાબદારીઓ ઊભી થઈ જાય કે આર્થિક પરિસ્થિતિમાં લવચીકતા જ રહે નહીં.
આવક વધે ત્યારે દરેક ખર્ચ વધારવો જરૂરી નથી. ઘણી વખત એક અપગ્રેડ બીજા અપગ્રેડને જન્મ આપે છે. સારો ફોન, પછી સારી કાર, પછી મોટું ઘર... અને જે વસ્તુ ક્યારેક વૈભવ લાગતી હતી એ ધીમે-ધીમે ‘અનિવાર્ય જરૂરિયાત’ બની જાય છે. આને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન કહી શકાય.
અહીં એક માનસિક પાસું પણ છે. એક વખત કોઈ સુવિધાની આદત પડી જાય પછી એને છોડવી આપણને નુકસાન જેવી લાગે છે. એટલે જીવનશૈલી વધારવી એ પૈસાનો અને વર્તનનો બન્ને પ્રશ્ન છે.
આથી દરેક નવી કાયમી જવાબદારી પહેલાં એક સવાલ પૂછવો જોઈએ : ‘આગામી ૩ વર્ષ સુધી મારી આવકમાં કોઈ વધારો ન થાય તો પણ શું હું આ ખર્ચ આરામથી ઉઠાવી શકીશ?’ આ સવાલ ‘આજે પરવડે છે’ અને ‘લાંબા ગાળે પરવડશે’ વચ્ચેનો તફાવત સમજાવી શકે છે.
આપણી જીવનશૈલી ક્યારેય એટલી મોંઘી થઈ જવી જોઈએ નહીં કે એના કારણે આર્થિક સ્વતંત્રતા છીનવાઈ જાય.
આપણી નાણાકીય બૅલૅન્સશીટ દર્શાવે છે કે આપણી પાસે શું છે અને આપણી કેટલી જવાબદારી છે, પરંતુ જીવનશૈલીની બૅલૅન્સશીટ આપણને બતાવે છે કે આપણી આજની પસંદગીઓનો ખર્ચ આવતી કાલે કેટલા પ્રમાણમાં જાળવીને રાખી શકાશે. ક્યારેક આર્થિક અપગ્રેડ મોટું ઘર કે મોંઘી કાર નથી પરંતુ જે જીવનશૈલી છે એને નિશ્ચિંતપણે જાળવી શકવાની સ્વતંત્રતા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK