Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પ્રસન્નતાનો અનુભવ મધુર વ્યવહાર અકબંધ રખાવે

પ્રસન્નતાનો અનુભવ મધુર વ્યવહાર અકબંધ રખાવે

Published : 09 July, 2026 01:58 PM | IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

પ્રસન્નતાનો અનુભવ એક વખત કરશો તો પછી તમને આ પ્રકારનો મધુર વ્યવહાર રાખવાનું ક્યારેય ચુકાશે નહીં. એક વખત નાના માણસને દૂધનો ગ્લાસ પિવડાવશો તો દૂધ તે પીશે પણ તૃપ્તિ તમને મળશે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


‘કોઈના મદદગાર બનવા માટે બહુ મોટું કષ્ટ લેવું નથી પડતું. જીવનમાં બહુ નાનું-નાનું કામ પણ બીજા માટે મોટું ઉપકારક બને છે, પણ એ માટે તમારે જાગૃતિ સાથે વિચારવું પડે અને સજાગ બનીને રહેવું પડે.’

પ્રવચનનો આ વિષય હતો અને એ પૂરો કર્યા પછી સેવાભાવી એક મહાશય મળવા માટે આવ્યા. પાસે આવીને તેમણે જે વાત કરી એ ખરેખર સૌકોઈએ જીવનમાં અપનાવવા જેવી છે.



‘તાવ, કફ, શરદી, ઉધરસ, સરદર્દ, પેટમાં દુખાવા જેવી સામાન્ય બીમારીમાં કામ લાગે એવી તમામ પ્રકારની દવાઓનો પૂરતો સ્ટૉક મારા ઘરમાં હું રાખું છું.’ ભાઈએ આવીને વાત શરૂ કરી, ‘બિલ્ડિંગમાં કામ કરતા વૉચમૅન, લિફ્ટમૅન, હાઉસહેલ્પ, ઝાડુ લગાવતી બાઈ જેવા કોઈની પણ તબિયત બગડે તો તેમણે ડૉક્ટર પાસે પછી જવાનું; પહેલાં મારે ત્યાં જ આવી જવાનું અને દવા લઈ લેવાની. એ દવા પર દૂધ અને નાસ્તો કરવાનો હોય તો એ પણ મારે ત્યાં જ કરી લેવાનાં.’


‘કમાલ કહેવાય!’

‘શિયાળો આવે એ પહેલાં તે તમામને સ્વેટર, મફલર, કાનટોપી આપી દેવાનાં. ચોમાસું બેસે એ પહેલાં તેમને રેઇનકોટ, છત્રી અને પાણીમાં પહેરવાનાં બૂટ આપી દેવાનાં જેથી તેમનું સ્વાસ્થય અકબંધ રહે.’


‘સરસ.’

‘મારી ગાડીના ડ્રાઇવરને આજ સુધીમાં મેં ક્યારેય ગાડીમાં સૂવા દીધો નથી.’

‘કોઈ ખાસ કારણ?’

‘જેને મારું જીવન સોંપીને હું નિશ્ચિંતતાથી ગાડીમાં સૂઈ જાઉં છું તેની ઊંઘ પૂરતી ન થઈ હોય એ બરાબર ન કહેવાય. આપ નહીં માનો પણ લાંબા અંતરની મુસાફરીએ નીકળ્યા હોઈએ અને વચ્ચે ક્યાંક ફાઇવસ્ટાર હોટેલમાં રોકાવાનું બને તો ડ્રાઇવરને હું મારી રૂમમાં જ રાખું છું. હું જે ભોજન કરું, તેને પણ એ જ ભોજન કરવાનું. ટૂંકમાં ચાહે ઘરમાં, ઑફિસમાં કે બિલ્ડિંગમાં જે પણ નોકર, ચાકર, ડ્રાઇવર હોય તે સૌની સાથે હું આમ જ રહું છું અને મહારાજસાહેબ, ખરેખર બહુ સંતોષ થાય છે અને મન પ્રસન્ન રહે છે.’

પ્રસન્નતાનો અનુભવ એક વખત કરશો તો પછી તમને આ પ્રકારનો મધુર વ્યવહાર રાખવાનું ક્યારેય ચુકાશે નહીં. એક વખત નાના માણસને દૂધનો ગ્લાસ પિવડાવશો તો દૂધ તે પીશે પણ તૃપ્તિ તમને મળશે.

અનુભવ કરી જોજો. હૈયે શાતા વળશે એની ગૅરન્ટી મારી.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2026 01:58 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK