Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > રોઝમૅરીથી મેમરી શાર્પ થાય છે?

રોઝમૅરીથી મેમરી શાર્પ થાય છે?

Published : 26 August, 2026 06:31 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

હેર અને સ્કિનની સંભાળથી આગળ હવે રોઝમૅરી મગજના સ્વાસ્થ્ય માટે પણ ચર્ચામાં છે. એમાં રહેલા કેટલાક સક્રિય ઘટકો મેમરી, ફોકસ અને અટેન્શન સુધારવામાં મદદ કરી શકે છે

રોઝમૅરીથી મેમરી શાર્પ થાય છે?

રોઝમૅરીથી મેમરી શાર્પ થાય છે?


પરંપરાગત ભારતીય રસોડાથી લઈને આજના વેલનેસ ટ્રેન્ડ સુધી હર્બલ રેમેડીઝ ફરી એક વાર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ યાદીમાં હવે રોઝમૅરી પણ ચર્ચામાં છે. તાજેતરમાં આયુષ મંત્રાલયે પણ રોઝમૅરીના ઔષધીય ગુણો તરફ ધ્યાન દોર્યું છે. રોઝમૅરી ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યાદશક્તિ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ વાતમાં કેટલી સત્યતા છે? રોઝમૅરી મગજ પર કેવી રીતે અસર કરે છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે કન્સલ્ટન્ટ ન્યુરોલૉજિસ્ટ ડૉ. ધારા શાહ પાસેથી જાણીએ.

રોઝમૅરી મગજ માટે કેવી રીતે ફાયદાકારક છે?



યાદશક્તિ અને એકાગ્રતા વધારે: રોઝમૅરીમાં રહેલું 1, 8-સિનેઓલ તત્ત્વ મગજના મહત્ત્વના કેમિકલ (એસિટાઇલકોલીન)ને જાળવી રાખે છે. આ કેમિકલ નવી વસ્તુઓ ઝડપથી શીખવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં અને યાદશક્તિ તેજ રાખવામાં મદદ કરે છે.


મગજના કોષોનું રક્ષણ :

એમાં રહેલું રોઝમૅરિનિક ઍસિડ અને કાર્નોસિક ઍસિડ મગજ સુધી પહોંચીને સોજો ઘટાડે છે અને કોષોને નુકસાન થતાં બચાવે છે.


સ્ટ્રેસમાં ઘટાડો :

રોઝમૅરીની સુગંધ લેવાથી કે એનું સેવન કરવાથી સ્ટ્રેસ-હૉર્મોન કૉર્ટિસૉલ ઘટે છે. મન શાંત રહેવાથી ફોકસ વધે છે અને માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે.

મગજની કાર્યક્ષમતા અને અટેન્શન સ્પૅન :

એ મગજની કામ કરવાની ઝડપ વધારે છે અને લાંબા સમય સુધી એકાગ્રતા જાળવી રાખવામાં મદદ કરે છે.

ડિમેન્શિયા સામે રક્ષણ :

એ મગજના સ્વાસ્થ્યને જાળવી રાખીને ડિમેન્શિયા જેવી ભૂલવાની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

રોઝમૅરીનો ઉપયોગ કરવાની સરળ રીતો

રોઝમૅરી ટી :

એકથી બે ચમચી તાજાં કે સૂકાં રોઝમૅરીનાં પાનને પાણીમાં પાંચથી ૧૦ મિનિટ ઉકાળો. ત્યાર બાદ એને ગાળીને સ્વાદ મુજબ થોડું લીંબુ કે મધ ઉમેરીને પી શકાય.

રોઝમૅરી ઇન્ફ્યુઝ્ડ ઑઇલ :

એક્સ્ટ્રા-વર્જિન ઑલિવ ઑઇલમાં રોઝમૅરીની તાજી ડાળીઓ ઉમેરીને ધીમા તાપે પંદરથી ૨૦ મિનિટ ગરમ કરો. આ તેલનો ઉપયોગ સૅલડ-ડ્રેસિંગ કે બ્રેડ-ડિપ તરીકે કરી શકાય.

અરોમા થેરપી (સુગંધ માટે):

કામ કરતી વખતે ડેસ્ક પાસે રાખેલા ડીફ્યુઝરમાં રોઝમૅરી એસેન્શિયલ ઑઇલનાં ત્રણથી પાંચ ટીપાં ઉમેરો. તમે એક ટિશ્યુ-પેપર પર અથવા સ્ટીમ લેવાના ગરમ પાણીમાં ૧ ટીપું ઉમેરીને એની સુગંધ લઈ શકો. એક ચમચી જોજોબા જેવા કૅરીઅર ઑઇલમાં બે ટીપાં રોઝમૅરી ઑઇલ ભેળવીને કાંડા પર પણ લગાવી શકાય.

વાળ અને સ્કૅલ્પની હેલ્થ

રોઝમૅરી વાળ અને સ્કૅલ્પની કૅર માટે ખૂબ ઉપયોગી છે. એનાં ઍક્ટિવ તત્ત્વો સ્કૅલ્પમાં બ્લડ-સર્ક્યુલેશન વધારે છે એટલે વાળના મૂળ સુધી પૂરતું પોષણ અને ઑક્સિજન પહોંચે છે. નિયમિત રીતે કરીઅર ઑઇલ સાથે રોઝમૅરી ઑઇલ વાપરવાથી હેરનો ગ્રોથ ઝડપી બને છે અને વાળ ખરવાનું ઓછું થાય છે. એક રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે એના ઉપયોગથી વાળનો ગ્રોથ અને ડેન્સિટી વધે છે. સાથે જ એમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ ગુણો હોવાથી સ્કૅલ્પ સાફ રહે છે અને ડૅન્ડ્રફ કે ખંજવાળ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

પેઇન રિલીફ

રોઝમૅરીમાં નેચરલ પેઇન-રિલીવર અને સોજો ઘટાડવાના ગુણો હોય છે. તેથી મસલ-પેઇન, સાંધાનો દુખાવો કે જકડાઈ જવાની તકલીફમાં એ ઘણી મદદ કરે છે. રોઝમૅરી એસેન્શિયલ ઑઇલને કોઈ પણ તેલમાં મિક્સ કરીને હળવા હાથે મસાજ કરવાથી મસલ્સ રિલૅક્સ થાય છે અને દુખાવો ઓછો થાય છે. ખાસ કરીને વર્કઆઉટ કે વધારે મહેનત પછી થતા બૉડી-પેઇનમાં આ મસાજ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

બ્લડ-સર્ક્યુલેશન સપોર્ટ

રોઝમૅરી શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન સુધારવામાં મદદરૂપ છે. એનાં અમુક ખાસ તત્ત્વો બ્લડ-વેસલ્સને હેલ્ધી રાખીને બ્લડ-ફ્લો સારો બનાવે છે. સારો બ્લડ-ફ્લો શરીરના દરેક અંગ સુધી ઑક્સિજન અને ન્યુટ્રિઅન્ટ્સ પહોંચાડવા માટે જરૂરી છે. ખાસ કરીને જે લોકોને હાથ-પગ ઠંડા પડી જવાની કે ખાલી ચડી જવાની સમસ્યા રહેતી હોય તેમના માટે રોઝમૅરી તેલથી મસાજ કરવો એક બેસ્ટ નૅચરલ ઑપ્શન છે.

ધ્યાનમાં રાખવાની સાવચેતીઓ અને આડઅસરો

ક્યારેય સીધું ન પીવું :

રોઝમૅરી એસેન્શિયલ ઑઇલ અત્યંત કૉન્સન્ટ્રેટેડ હોય છે. એને પીવાથી પેટમાં બળતરા, ઊબકા, ઊલટી, ચૂંક કે ગંભીર નુકસાન થઈ શકે છે.

ડાઇલ્યુટ કરીને જ લગાવવું :

ત્વચા પર સીધું લગાવવાથી ઍલર્જી, ખંજવાળ કે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી હંમેશાં કરીઅર ઑઇલમાં ભેળવીને જ વાપરવું.

પ્રેગ્નન્સી અને સ્તનપાન :

ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમ્યાન એનો ઉપયોગ ટાળવો.

દવા લેતા દરદીઓ :

જે લોકો બ્લડ-થિનર (લોહી પાતળું કરવાની દવાઓ) લેતા હોય તેમણે ડૉક્ટરની સલાહ વગર એનો ઉપયોગ કરવો નહીં.

Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 06:31 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK