Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કઈ દવા જમતાં પહેલાં અને કઈ જમ્યા પછી લેવાની છે એ જાણવું બહુ જરૂરી છે

કઈ દવા જમતાં પહેલાં અને કઈ જમ્યા પછી લેવાની છે એ જાણવું બહુ જરૂરી છે

02 May, 2024 07:19 AM IST | Mumbai
Dr. Sushil Shah

ઍન્ટિબાયોટિકને બધા હેવી દવા સમજીને જમ્યા પછી જ લેતા હોય છે, પરંતુ અમુક ઍન્ટિબાયોટિક જમ્યા પહેલાં જ લેવી જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


દવાઓને આપણે ત્યાં ભારે સમજવામાં આવે છે એટલે ભૂખ્યા પેટે એ ન જ લેવાય એવા નિયમો લોકો પાળતા હોય છે. મોટા ભાગે કોઈ પણ દવા આપણે જમ્યા પછી લેતા હોઈએ છીએ, પણ એ ખોટું છે. દરેક દવાનો જમતાં પહેલાં કે જમ્યા પછીનો નિયમ સમજવો જરૂરી છે. ઘણી વાર દરદી ગૂંચવાય નહીં એટલે ડૉક્ટર્સ આ વસ્તુ સમજાવવાનું ટાળે છે, પરંતુ એને કારણે દવાની અસર અને રોગના મૅનેજમેન્ટ પર ઘણી અસર પડે છે એ સમજવું જરૂરી છે. ખાધા પહેલાં મોટા ભાગે એ દવા આપવામાં આવે છે જે દવા પેટના ઍસિડને ઓછું કરે અને જલદીથી કામ પર લાગે, કારણ કે એનું ઍબ્ઝૉર્બશન ઘણું સારું થાય. ઘણી દવા સવારે ઊઠીને લેવાની હોય તો ઘણી રાતે સૂતાં પહેલાં. આમ, દવાઓ લેવી જેટલી જરૂરી છે એટલી જ દવાને એના નિયત સમયે લેવી પણ જરૂરી છે. જે દવાની આડઅસરથી પેટની લાઇનિંગ પર અસર થાય, શરીરમાં ઍસિડ વધી જાય એવી દવા જમ્યા પછી આપવામાં આવે છે. 

જેમ કે ડાયાબિટીઝની મોટા ભાગની દવાઓ ખાધા પહેલાં જ લેવાય. જે ઇન્સ્યુલિન લે છે તેમને ખબર હોય છે કે ઇન્સ્યુલિન જમ્યા પહેલાં લેવાની હોય છે. મોટા ભાગની દવાઓમાં પણ એ જ નિયમ લાગુ પડે છે, પરંતુ ડાયાબિટીઝની અમુક દવાઓ જેમ કે મેટફોર્મિન જમ્યા પછી લેવાની હોય છે. એ જ રીતે અમુક બ્લડપ્રેશરની દવાઓ એવી હોય છે જે જમ્યા પહેલાં જ લેવી સારી. ઍસિડિટીની દવાઓ લોકો જાણતા હોય છે કે જમ્યા પહેલાં જ લેવાય. એનું કારણ છે કે તો જ એ અસર કરે. જમ્યા પછી એની ખાસ અસર જોવા ન મળે. ઍસિડને કન્ટ્રોલ કરવો હોય તો જમ્યા પહેલાં જ ઍસિડિટીની ગોળી લેવાની. ખાસ કરીને નિયમિત આઠ-દસ દિવસ ખાવાનું કીધું હોય ત્યારે. ટીબીના ઇલાજમાં અમુક ગોળીઓ જમ્યા પહેલાં લેવાની હોય છે. જો એ ત્યારે લેવામાં ન આવે તો એની અસર ઘટે છે. થાઇરૉઇડની દવા ખાલી પેટ લેવાની હોય છે. જો એ ખાધા પછી લો તો એની અસર પાંચ ટકા જેટલી પણ નથી બચતી.



ઍન્ટિબાયોટિકને બધા હેવી દવા સમજીને જમ્યા પછી જ લેતા હોય છે, પરંતુ અમુક ઍન્ટિબાયોટિક જમ્યા પહેલાં જ લેવી જરૂરી છે. એને પછી ન લેવાય. પછી લઈએ તો એની અસર ૧૫-૨૦ ટકા જેટલી ઘટી જાય, જે યોગ્ય નથી. આમ, જ્યારે દવાઓ લો એ પહેલાં ડૉક્ટર પાસેથી પૂરી માહિતી લો કે આ જમ્યા પહેલાં કે પછી ખાવાની છે અને એ રીતે જ અનુસરો. ધારી ન લો કે જમ્યા પછી જ ખાવાની હશે. એનાથી નુકસાન થશે. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 07:19 AM IST | Mumbai | Dr. Sushil Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK