Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ક્ચ્છના ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં મળ્યું સ્થાન

ક્ચ્છના ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં મળ્યું સ્થાન

28 July, 2021 12:09 PM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું

કચ્છની હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીનતમ અને ગૌરવવંતુ નગર ધોળાવીરા.

કચ્છની હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીનતમ અને ગૌરવવંતુ નગર ધોળાવીરા.


ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના ઐતિહાસિક નગર ધોળાવીરાને સ્થાન મળ્યું છે. ધોળાવીરાને મળેલા આ સીમાચિહન ગૌરવ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગર્વ સાથે કહ્યું હતું કે ‘ભારતની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર ઉજાગર કરવાની નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતાની ફળશ્રૃતિ રૂપે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. પુરાતન સ્થાનોમાં રસ-રૂચિ ધરાવનારા પ્રવાસપ્રેમીઓ માટે ધોળાવીરા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.’
કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આશરે ૪૫૦૦ વર્ષ જૂની શ્રેષ્ઠ નગરરચનાનું એક આગવું દૃષ્ટાંત છે. આ પ્રાચીનનગરનાં મકાનો, ઇમારતો અને સ્ટ્રકચરનું નિર્માણ તે સમયે મોહે-જો દરો અને હડપ્પનની જેમ જ ઇંટ નહીં પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળ સંરક્ષણની પણ સુઆયોજિત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી જે આજે પણ ઉદાહરણરૂપ છે. એવું કહેવાય છે કે એક સમયે આ નગરમાં ૫૦,૦૦૦ લોકો રહેતા હતા.


આ પહેલાં વર્ષ ૨૦૦૪માં પાવાગઢના ચાંપાનેરને, ૨૦૧૪માં પાટણની રાણકી વાવને, ૨૦૧૭માં અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવભરી સિદ્ધિ મળી છે. હવે ધોળાવીરાએ વિશ્વ વિરાસત નકશામાં ગુજરાતને વધુ એક સિદ્ધિ અપાવી છે. હવે ગુજરાતમાં ચાર–ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ થતાં રાજ્યને ગૌરવ મળ્યું છે.

મોદીએ ખુશી વ્યક્ત કરી સંસ્મરણો વાગોળ્યાં
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી, તેમની ધોળાવીરાની મુલાકાતના સંસ્મરણો વાગોળતાં લખ્યું હતું કે ‘મેં મારા વિદ્યાર્થીકાળ દરમ્યાન પહેલીવાર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે મને ધોળાવીરામાં વારસો, સંરક્ષણ અને પુનઃસ્થાપન સંબંધિત પાસાં પર કામ કરવાની તક મળી હતી. અમારી ટીમે ત્યાં પર્યટન અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે પણ કામ કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2021 12:09 PM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK