૧૦૨ લોકોનો જીવ લેનારા માલવણી લઠ્ઠાકાંડ કેસમાં ૪ આરોપી દોષી, ૧૦ જણ છૂટી ગયા , મુલુંડમાં ૨૦૦ રૂપિયાના ઝઘડામાં એક યુવાને જીવ ગુમાવ્યો, બીજો સિરિયસ
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની ફાઇલ તસવીર
અઠવાડિયામાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કુલ ૨૭ કેસમાં ૧૩.૫૭ કરોડ રૂપિયાનું ૨૦.૯૫ કિલો દાણચોરીનું સોનું પકડી પાડ્યું હતું. એક પૅસેન્જર સોનાના ડસ્ટની કૅપ્સ્યુલ ગુદા માર્ગમાં સંતાડીને લાવ્યો હતો. એ ઉપરાંત ઇલેકટ્રૉનિક્સ, તમાકુ અને સિગારેટ એમ કુલ મળીને ૧૦.૮ કરોડ રૂપિયાની બીજી મતા પણ જપ્ત કરવામાં આવી. અન્ય વિદેશીઓ સાથે ૮ ભારતીય નાગરિકો જે દુબઈ, અબુ ધાબી, બૅન્ગકૉક, ક્વાલા લમ્પુર અને જેદાહથી આવ્યા હતા તે સોનાની દાણચોરી કરતાં ઝડપાયા હતા.
૧૦૨ લોકોનો જીવ લેનારા માલવણી લઠ્ઠાકાંડ કેસમાં ૪ આરોપી દોષી, ૧૦ જણ છૂટી ગયા
૨૦૧૫ના જૂન મહિનામાં મલાડના માલવણી વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડ કેસમાં સેશન્સ કોર્ટે ૪ આરોપીઓને દોષી ઠરાવ્યા છે અને ૧૦ જણને છોડી મૂક્યા છે. આ લઠ્ઠાકાંડમાં માલવણીના લક્ષ્મીનગરમાં ઝેરી શરાબ પીને ૧૦૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આરોપીઓ સામે ગુનાહિત ષડ્યંત્ર, સદોષ મનુષ્યવધ સહિતની અનેક કલમો હેઠળ કેસ ચાલ્યો હતો. હવે ૬ મેના રોજ કોર્ટ ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષની દલીલો સાંભળશે. આરોપીઓને દિલ્હી, મધ્ય પ્રદેશ અને ગુજરાતથી પકડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે મુખ્ય સચિવના વડપણ હેઠળ મૃત્યુ કેવી રીતે થયાં એ તપાસવા આદેશ આપ્યો હતો.
મુલુંડમાં ૨૦૦ રૂપિયાના ઝઘડામાં એક યુવાને જીવ ગુમાવ્યો, બીજો સિરિયસ
મુલુંડમાં માત્ર ૨૦૦ રૂપિયાના ઝઘડામાં એક યુવાનનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજો સિરિયસ છે. મુલુંડ-વેસ્ટના વૈશાલીનગરમાં આવેલી એક દુકાનમાં રવિવારે સાંજે ચિકન ખરીદવા ગયેલા ૩૦ વર્ષના અક્ષય નાર્વેકર અને ૩૦ વર્ષના આકાશ સાબળેનો દુકાનવાળા સાથે પૈસાને લઈને ઝઘડો થતાં દુકાનવાળાએ પોતાના સાથીઓને બોલાવીને બન્ને યુવાનો પર ચાકુ અને લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેમાં અક્ષય ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો અને આકાશને ગંભીર હાલતમાં થાણેની જ્યુપિટર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી ઇમરાન સહિત સલીમ ખાન, ફારુક બાગવાન, નૌશાદ બાગવાન, અબ્દુલ બાગવાનની પોલીસે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.