આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ માટે કમિટી નીમવામાં આવી છે.
ભાંડુપમાં આવેલું સુષમા સ્વરાજ પ્રસૂતિગૃહ.
ભાંડુપ-વેસ્ટમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સુષમા સ્વરાજ પ્રસૂતિગૃહમાં ૨૬ વર્ષની મહિલાની સોમવારે રાત્રે સાડાનવ વાગ્યે સિઝેરિયન સર્જરી ચાલુ હતી ત્યારે અચાનક લાઇટ જતી રહી હતી એટલે આખા હૉસ્પિટલમાં અંધારપટ ફેલાઈ ગયો હતો. ત્યાર બાદ વધુ ઇલાજ માટે મહિલા અને પુત્રને સાયન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવતાં રસ્તામાં જ તેમનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના બાદ ગઈ કાલે મહિલાના પરિવારે હૉસ્પિટલમાં ધમાલ કરીને દોષી સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. અંતે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ માટે કમિટી નીમવામાં આવી છે.
દરદી મહિલા એકદમ સ્વસ્થ હતી એમ જણાવતાં સુષમા સ્વરાજ પ્રસૂતિગૃહનાં સિનિયર ડૉક્ટર ચંદ્રકલા કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાંડુપમાં રહેતી મહિલાને સોમવારે સવારે લેબર પેઇન થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સાંજ સુધી અમે નૉર્મલ ડિલિવરી માટે પ્રયાસ કર્યો હતો. જોકે સાંજે સાત વાગ્યા સુધી નૉર્મલ ડિલિવરી શક્ય બની નહોતી અને બાળકના હાર્ટરેટ પણ ઓછા થઈ રહ્યા હતા એટલે અમે રાતે સાડાનવ વાગ્યે તેને સિઝેરિયન સર્જરી માટે ઑપરેશન થિયેટરમાં લીધી હતી. એ વખતે બાળકને બહાર કાઢીને તેની ટ્રીટમેન્ટ ચાલુ હતી અને દરદી મહિલાને ટાંકા લેવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક લાઇટ જતી રહી હતી. અમે ટૉર્ચની લાઇટની મદદથી કામ કરી રહ્યા હતા ત્યારે મહિલાને શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી એટલે અમે તરત જ તેને સાયન હૉસ્પિટલમાં વધુ ઇલાજ માટે શિફ્ટ કરી હતી. જોકે રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. તેનું મૃત્યુ કેમ અને કઈ રીતે થયું એની તપાસ કરવામાં આવશે.’
ADVERTISEMENT
વારંવાર પાવરકટને કારણે શનિવારે જ જનરેટરની સર્વિસ કરવામાં આવી હતી અને સોમવારે બપોરે પણ સર્વિસ-વેન્ડર જનરેટરની તપાસ માટે આવ્યો હતો ત્યારે એ બરોબર ચાલી રહ્યું હતું એમ જણાવતાં ડૉ. ચંદ્રકલા કદમે વધુમાં કહ્યું હતું કે આ ઘટનાની તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે જે આખી ઘટનાની તપાસ કરશે અને દોષી સામે કાર્યવાહી કરવામાં આવશે.