સામૂહિક બળાત્કારમાં સામેલ આરોપીની અરજી ફગાવી દઈને હાઈ કોર્ટે કહ્યું...
બૉમ્બે હાઈ કોર્ટેની તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે સામૂહિક બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને જામીન આપવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે ગંભીર ગુનામાં ટ્રાયલમાં વિલંબ થાય તો ફક્ત એ કારણોસર જામીન આપી શકાય નહીં. આરોપી સોમનાથ ગાયકવાડની ૨૦૨૦માં ૧૫ વર્ષની ટીનેજર પર સામૂહિક બળાત્કાર મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેના વકીલ સના રઈસ ખાને એવી દલીલ કરી હતી કે તે ઑક્ટોબર ૨૦૨૦થી જેલમાં છે અને ટ્રાયલમાં કોઈ પ્રગતિ થઈ નથી.
જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આરોપી સામૂહિક બળાત્કારના ગુનામાં સામેલ છે એટલે તેને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થઈ શકે છે, જ્યારે આ ઘટના બની ત્યારે પીડિતા માત્ર ૧૫ વર્ષની હતી એટલે લાંબા જેલવાસના આધારે જામીન આપવાનો કોઈ કેસ બનતો નથી.
ADVERTISEMENT
કોર્ટે જણાવ્યું હતું કે જામીન ફગાવવાનું અન્ય એક કારણ એ પણ છે કે પીડિતા અને તેના પિતાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે જો આરોપીને જામીન મળે તો તેમને કોઈ વાંધો નથી, આનાથી એ શંકા પેદા થાય છે કે આરોપીઓ કેસમાં પીડિતા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પુરાવા સાથે ચેડાં કરી રહ્યા છે.
બેન્ચે ટ્રાયલ કોર્ટને નવ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા અને દર ત્રણ મહિને રિપોર્ટ આપવા જણાવ્યું હતું.