આ ઘટનાને લીધે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થોડો સમય ટ્રાફિકની મુશ્કેલી થઈ હતી.
પ્રાઇવેટ બસ (નંબર MH01-CR-8585)
મુંબઈના ૪૨ જાનૈયાઓને લઈને સોલાપુર જઈ રહેલી પ્રાઇવેટ બસ (નંબર MH01-CR-8585)માં શનિવારે મધરાત બાદ ૨.૨૦ વાગ્યે અચાનક આગ લાગી હતી. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બસ ખંડાલા ઘાટ પાસેના ખોપોલી પહોંચી ત્યારે એના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. સતર્ક ડ્રાઇવરે તરત જ બસને હાઇવેની એક બાજુએ ઊભી રાખી દીધી હતી અને બધાને ઝડપથી બસમાંથી ઊતરી જવાનું કહ્યું હતું. ભરઊંઘમાં સૂઈ રહેલા લોકો ફટાફટ બસની બહાર નીકળ્યા હતા. ત્યાં સુધીમાં બસમાં આગ લાગી ગઈ હતી અને ગણતરીની મિનિટમાં આખી બસ ખાખ થઈ ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ એક કલાક સુધી પાણીનો છંટકાવ કરીને આગને ઓલવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ મુંબઈના યુવકનાં સોલાપુરમાં લગ્ન હતાં એટલે ૪૨ જાનૈયાઓ બસમાં સોલાપુર જવા શનિવારે રાત્રે નીકળ્યા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ નથી થઈ. જોકે આ ઘટનાને લીધે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થોડો સમય ટ્રાફિકની મુશ્કેલી થઈ હતી.