હવે મુંબઈ બાદ MMRના ઑલમોસ્ટ બધા ઉમેદવારોની પણ જાહેરાત થઈ ગઈ છે.
એકનાથ શિંદે , અમિત શાહ , અજીત પવાર
લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજ્યની સત્તારૂઢ મહાયુતિના ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીએ તેમની બાકી રહેલી મહત્ત્વની ગણાતી થાણે અને કલ્યાણની બેઠકો પરના ઉમેદવાર જાહેર કરી દેતાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)નું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. MMRમાં એકમાત્ર પાલઘરની બેઠકની જાહેરાત બાકી છે જેના વિશે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે પાલઘરની બેઠક BJP લડશે અને એના ઉમેદવારનું નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આમ હવે મુંબઈ બાદ MMRના ઑલમોસ્ટ બધા ઉમેદવારોની પણ જાહેરાત થઈ ગઈ છે.
BJPએ થાણેની બેઠક પણ જતી કરી, એકનાથ શિંદેએ ભૂતપૂર્વ મેયર નરેશ મ્હસ્કેને આપી ટિકિટ : કલ્યાણમાં મુખ્ય પ્રધાનના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદેના નામની સત્તાવાર જાહેરાત : પાલઘરમાં BJP ગમે ત્યારે ઉમેદવાર જાહેર કરશે
ADVERTISEMENT
થાણેમાં પણ એકનાથ શિંદેએ તેમનો ગઢ સાચવી રાખ્યો છે. શિવસેનાના નેતા અને થાણેના ભૂતપૂર્વ મેયર નરેશ મ્હસ્કેને ઉમેદવારી આપવામાં આવી છે, જ્યારે કલ્યાણથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર સંસદસભ્ય ડૉ. શ્રીકાંત શિંદેને ઉમેદવારી આપવામાં આવી હોવાની ગઈ કાલે ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. MMRમાં મુંબઈની ૬ ઉપરાંત ૪ બેઠકોનો સમાવેશ થાય છે : થાણે, કલ્યાણ, ભિવંડી અને પાલઘર. ભિવંડીમાંથી BJPના કપિલ પાટીલ મેદાનમાં છે. મુંબઈનું ચિત્ર મંગળવારે સ્પષ્ટ થઈ ગયું હતું. થાણેમાં નરેશ મ્હસ્કે સામે શિવસેના (UBT)ના રાજન વિચારે, કલ્યાણમાં ડૉ. શ્રીકાંત શિંદે સામે શિવસેના (UBT)નાં વૈશાલી દરેકર, ભિવંડીમાં કપિલ પાટીલ સામે NCP (શરદચંદ્ર પવાર)ના સુરેશ મ્હાત્રે અને પાલઘરમાં BJPના હવે જાહેર થનારા ઉમેદવાર સામે શિવસેના (UBT)નાં ભારતી કામડી ટકરાશે.
નાશિકની બેઠક માટે મહાયુતિમાં ભારે રસાકસી હતી. શિવસેના પોતાના ઉમેદવાર માટે આગ્રહ કરતી હતી, જ્યારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) પણ એ બેઠક પોતાને મળે એ માટે જોર લગાડતી હતી. નાશિકની બેઠક માટે ભારે જોર લગાડનાર NCPના છગન ભુજબળને જ્યારે અંદાજ આવી ગયો કે તેમનો નંબર લાગવો મુશ્કેલ છે ત્યારે તેમણે એ બેઠક પરથી પોતાનો દાવો પડતો મૂક્યો હતો. જોકે એ પછી ગિરીશ મહાજને તેમની સાથે બેઠક કરી એ પછી એ બેઠક પરથી શિવસેનાના હાલના સંસદસભ્ય હેમંત ગોડસેને ઉમેદવારી આપવામાં આવી છે.
મહાયુતિમાં કોણ કેટલી બેઠક પરથી લડશે?
BJP - ૨૮
શિવસેના - ૧૫
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ - ૪
રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) – ૧
મહાગઠબંધનમાં કોણ કેટલી બેઠક પરથી લડશે?
કૉન્ગ્રેસ - ૧૭
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) - ૨૧
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) - ૧૦