બૉબી દેઓલે સ્વીકાર્યું કે મારા પિતા જેવો કોઈ બીજો માણસ હોઈ ન શકે
પિતા ધર્મેન્દ્ર સાથે બૉબી દેઓલ
સ્ક્રીન પર ‘બાબા નિરાલા’ અને ‘અબરાર હક’ જેવાં ખલનાયકનાં પાત્રો ભજવનારા બૉબી દેઓલે પોતાના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વિશે ખુલ્લેઆમ વાત કરી છે અને કહ્યું છે કે સ્ક્રીન પર ભલે તે ખલનાયક હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં તે એકદમ અલગ છે. આ સમયે તે પિતા ધર્મેન્દ્ર વિશે વાત કરતાં ઇમોશનલ થઈ ગયો હતો.
ધર્મેન્દ્ર વિશે વાત કરતા બૉબીએ કહ્યું હતું કે ‘પપ્પા એવા માણસ હતા કે જો કોઈ તેમની પાસે ખોટું બોલે તો તેઓ ક્યારેય સહન કરી શકતા નહોતા. તેમનો હાથ ભારે હતો. અમે કોઈ ભૂલ કરીએ તો ગુસ્સામાં તેઓ બે-ત્રણ થપ્પડ મારતા અને પછી ઘરની અંદર લઈ જતા, જમાડતા, દૂધ પીવડાવતા અને નવાં કપડાં પણ આપતા. તેઓ એવા જ હતા. મેં ક્યારેય મારાં બાળકોને માર્યા નથી. મને એ ગમતું પણ નથી. મેં ક્યારેય આવું કર્યું નથી. મને કોઈને મારવું પસંદ નથી. હું શાંત સ્વભાવનો માણસ છું. જોકે હું માનું છું કે મારા પિતા જેવો કોઈ બીજો માણસ હોઈ ન શકે અને કોઈ તેમના જેવું બની ન શકે. હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મારો જન્મ એવા પરિવારમાં થયો જ્યાં મને મારી માતા અને એવા પિતા મળ્યા.’
