સંસ્થાની પ્રમુખ પૂનમ ઢિલ્લોંએ ફરિયાદના સૂરમાં કહ્યું કે ઍક્ટર અમારો સભ્ય હોવા છતાં તેણે અમને વિશ્વાસમાં નહોતા લીધા
ઍક્ટ્રેસ પૂનમ ઢિલ્લોંએ નિરાશા વ્યક્ત કરી
સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશન (CINTAA)ની પ્રમુખ અને ઍક્ટ્રેસ પૂનમ ઢિલ્લોંએ હાલમાં રણવીર સિંહ અને ‘ડૉન 3’ વિવાદને લઈને તેના વિરુદ્ધ જાહેર કરાયેલા ‘નૉન-કોઑપરેશન’ પર પ્રતિક્રિયા આપી છે.
આ મામલે પૂનમે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે મામલો વધતો ગયો છતાં કોઈએ અમારો સંપર્ક ન કર્યો. પૂનમે કહ્યું કે જો તેમને સમયસર જાણ કરવામાં આવી હોત તો CINTAA મધ્યસ્થતા કરીને મામલો ઉકેલવાનો પ્રયાસ કરી શક્યું હોત.
ADVERTISEMENT
આ મામલે નિવેદન આપતાં પૂનમે કહ્યું હતું કે ‘આ ખૂબ જ અજીબ પરિસ્થિતિ છે. આ મામલો અમારા જ એક સભ્ય સાથે જોડાયેલો છે છતાં કલાકાર, નિર્માતા કે પછી ફેડરેશને અમને વિશ્વાસમાં નથી લીધા. અમે આ મામલો ઉકેલવાનો પ્રયાસ કરી શક્યા હોત. અમારા અસોસિએશનનો હેતુ જ અભિનેતા અને નિર્માતા વચ્ચે ઊભા થતા આવા વિવાદો અથવા સમસ્યાઓનું સમાધાન કરવાનો છે. રણવીર CINTAAનો સભ્ય હોવાના કારણે તેણે સ્થિતિ ખરાબ બને એ પહેલાં અસોસિએશનનો સંપર્ક કરવો જોઈતો હતો. જો કોઈ સમસ્યા હોય તો એને યોગ્ય રીતે હૅન્ડલ કરવી જોઈએ અને જરૂર પડે તો અસોસિએશનનો સંપર્ક કરવો જોઈએ, જેથી અમે મળીને એનો ઉકેલ લાવી શકીએ. હકીકતમાં અમને સંપૂર્ણ માહિતી નથી, એટલે હું કહી શકતી નથી કે કોણ સાચું છે અને કોણ ખોટું છે.’
