સાઉથનાં સુપરસ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ૨૬ ફેબ્રુઆરીએ લગ્નબંધનમાં બંધાયાં છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
નવદંપતી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ લગ્ન પછી આશીર્વાદ લેવા માટે હૈદરાબાદ સ્થિત પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી. તેમને જોવા માટે મંદિરની બહાર મોટી સંખ્યામાં ફૅન્સ ભેગા થઈ ગયા હતા અને તેમની આ મુલાકાતનો વિડિયો ચર્ચામાં છે. આ વિડિયોમાં રશ્મિકા પરંપરાગત સાડીમાં દેખાઈ રહી છે, જ્યારે વિજયે કુરતા સાથે નારંગી શાલ પહેરી છે. બન્નેએ મંદિર-પરિસરમાં ભેગા થયેલા ચાહકો અને શુભેચ્છકોને અભિવાદન કર્યું. આ મુલાકાત દરમ્યાન વિજયનો ભાઈ આનંદ દેવરકોંડા પણ તેમની સાથે હતો.
૨૧ શહેરોમાં મીઠાઈની વહેંચણી અને ૧૬ મંદિરોમાં અન્નદાન
ADVERTISEMENT
સાઉથનાં સુપરસ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ૨૬ ફેબ્રુઆરીએ લગ્નબંધનમાં બંધાયાં છે. બન્નેએ સોશ્યલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શૅર કરીને ચાહકોને ખુશખબર આપી હતી. લગ્ન પછી કપલે ફોટોગ્રાફર્સને મીઠાઈ પણ વહેંચી હતી અને હવે તેમણે આ ખુશી સમગ્ર દેશ સાથે ઊજવવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં બન્નેએ સોશ્યલ મીડિયા પર સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે જેમાં લખ્યું હતું કે ‘આ દેશના પ્રિય લોકો, તમે હંમેશાં અમારા સફર અને પ્રેમનો ભાગ રહ્યા છો. અમારાં લગ્નની ખુશી તમારા સૌ સાથે વહેંચવી અમારા માટે ગૌરવ અને આનંદની બાબત છે. ભારતમાં કોઈ પણ ઉજવણી મીઠાઈ અને ભોજન વગર કેવી રીતે પૂરી થાય?’
દંપતીએ આગળ જણાવ્યું હતું કે પહેલી માર્ચે અમે પ્રેમ અને મીઠાઈઓથી ભરેલી ટ્રક દેશભરમાં મોકલી રહ્યા છીએ જેથી જીવનની આ ખાસ પળને સૌ સાથે શૅર કરી શકે. આ સાથે જ તેમણે દેશનાં ૧૬ મંદિરોમાં અન્નદાન કરવાની પણ જાહેરાત કરીને સૌના આશીર્વાદની માગણી કરી છે.
જાહેરાત પ્રમાણે રશ્મિકા અને વિજયનાં લગ્નની મીઠાઈઓ ૨૧ શહેરોમાં અને અનેક રાજ્યોમાં પહોંચાડવામાં આવશે. એમાં તેલંગણ, દિલ્હી, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, કેરલા, કર્ણાટક, તામિલનાડુ, પૉન્ડિચેરી અને બિહાર જેવાં રાજ્યોનો સમાવેશ થાય છે. દરેક રાજ્યનાં પસંદગીનાં શહેરોમાં મીઠાઈ વહેંચાશે. આ સિવાય દંપતીએ ૧૬ જાણીતાં મંદિરોમાં અન્નદાન કરવાની જાહેરાત પણ કરી છે.
