સૈયામી ખેરે મુંબઈની બગડતી હવાની ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી
સૈયામી ખેર
સૈયામી ખેરે સોશ્યલ મીડિયા પર મુંબઈની બગડતી હવાની ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેણે અત્યારના વાતાવરણની તુલના કોવિડ-૧૯ મહામારી સાથે કરતાં કહ્યું હતું કે એ વખતે વાઇરસ જીવલેણ હતો, જ્યારે હવે તો હવા જ જીવ માટે જોખમ બની રહી છે.
સૈયામીએ દરિયાકાંઠે માસ્ક પહેરેલી પોતાની તસવીર શૅર કરીને લખ્યું, ‘દાયકાથી હું રોજ સવારે કાર્ટર રોડ પર દોડવા જતી હતી અને દરિયાની ઠંડી હવા સાથે પ્રેમ થઈ ગયો હતો. હવે દોડવા જતાં પહેલાં માસ્ક પહેરવો પડે છે. એ મને મહામારીના દિવસોની યાદ અપાવે છે. ફરક એટલો જ છે કે હવે હવામાં કોઈ વાઇરસ નથી, પરંતુ હવા પોતે જ જીવલેણ બની શકે છે. સ્વચ્છ હવા હવે વૈભવ જેવી લાગવા લાગી છે. ઘરનાં દરવાજા-બારીઓ બંધ રાખવાં પડે છે. ઍર-પ્યુરિફાયર ખરીદ્યું છે. દરિયાકાંઠે દોડવાની જગ્યાએ હવે ટ્રેડમિલ પર દીવાલ સામે જોઈને દોડવું પડે છે અને છતાં પણ પૂરતું લાગતું નથી. દોડવાથી મારું મન શાંત થાય છે, મને અંદરથી રિપેર કરે છે; પરંતુ હવે એ જ ક્રિયા મને ધીમે-ધીમે નુકસાન પહોંચાડતી હોય એવું લાગે છે. વર્ષોની મહેનત અને અનુશાસનને પ્રદૂષણ દરેક શ્વાસ સાથે ખંડિત કરી રહ્યું છે.’
