કોવિડ-19 વૅક્સિનની સાઇડ-ઇફેક્ટ વિશે શ્રેયસ તલપડેએ કહ્યું...
શ્રેયસ તલપડે
શ્રેયસ તલપડેને કોવિડ-19ની વૅક્સિન લીધા બાદ સતત થાક લાગી રહ્યો હતો અને એનું કારણ સાઇડ-ઇફેક્ટ્સ હોવાનું તેનું માનવું છે. તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં હાર્ટ-અટૅક આવ્યો હતો. તે તેની આ લાઇફને સેકન્ડ ચાન્સ માને છે અને ફૅમિલી સાથે વધુ સમય પસાર કરી રહ્યો છે. હાલમાં જ કોવિશીલ્ડ વૅક્સિનને કારણે કેટલાક લોકોને સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે એવું કંપનીએ સ્વીકાર્યું છે. આથી વિશે શ્રેયસ તલપડે કહે છે, ‘હું સ્મોકિંગ નથી કરતો. હું રેગ્યુલર ડ્રિન્ક પણ નથી કરતો. મહિનામાં એક વાર કરું છું. તમાકુનું પણ સેવન નથી કરતો, પરંતુ મારું કૉલેસ્ટરોલ લેવલ વધુ હતું એ હું માનું છું. જોકે આજકાલ એ મોટા ભાગના લોકોનું વધુ હોય છે. હું એ માટે દવા પણ લઈ રહ્યો હતો અને એ કન્ટ્રોલમાં પણ આવી ગયું હતું. ડાયાબિટીઝ નથી, બ્લડ- પ્રેશર નથી, કંઈ જ નથી તો હાર્ટ-અટૅક આવવાનું કારણ શું હોઈ શકે? કોવિડ-19ની વૅક્સિન બાદ હું સતત થાકનો અનુભવ કરી રહ્યો હતો. એના લીધે હાર્ટ-અટૅક આવ્યો હોવાના ચાન્સ હોય એ થિયરીને આપણે નજરઅંદાજ તો નહીં કરી શકીએ. એમાં પણ થોડું સત્ય તો છે. કોવિડ અથવા તો વૅક્સિન કંઈ પણ હોય, પરંતુ એ પછી જ મને અલગ ફીલ થવા લાગ્યું હતું. આ ખૂબ જ દુઃખની વાત છે કે આપણને ખબર નથી કે આપણે આપણી બૉડીમાં તેમને શું દાખલ કરવા દીધું છે. આપણે બધાએ કંપની પર વિશ્વાસ કર્યો. મેં કોવિડ-19 પહેલાં મારા જેવા કેસ ક્યારેય સાંભળ્યા નથી.’