રાજ તેની મુનમુન દત્તા સાથે કહેવાતી રિલેશનશિપમાં હોવાને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યો છે.
રાજ અનડકટ
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુના પાત્ર માટે જાણીતો રાજ અનડકટ હવે ‘બિગ બૉસ OTT 3’માં જોવા મળશે એવી ચર્ચા છે. રાજ તેની મુનમુન દત્તા સાથે કહેવાતી રિલેશનશિપમાં હોવાને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. તેમણે ક્યારેય તેઓ રિલેશનશિપમાં છે એ વિશે જાહેરાત નથી કરી. થોડા સમય પહેલાં જ તેમણે સગાઈ કરી લીધી હોવાની વાતો ચાલી હતી. જોકે એ વાતને મુનમુન અને રાજ બન્નેએ ફગાવી દીધી હતી. એક ઇન્ટરવ્યુમાં તેણે ‘બિગ બૉસ’માં કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેને ૨૦૨૨ અને ૨૦૨૩માં શો ઑફર કરવામાં આવ્યો હતો, પરંતુ અમુક સંજોગવશ તે એ નહોતો કરી શક્યો. જોકે હવે તે ‘બિગ બૉસ OTT 3’માં જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. બની શકે કે તે ‘બિગ બૉસ 18’માં પણ આવી શકે.
ગૅરેજમાં નવી બાઇકનો સમાવેશ કર્યો જૉન એબ્રાહમે- બાઇક ચલાવવી મારો ધર્મ છે
ADVERTISEMENT
જૉન એબ્રાહમનું કહેવું છે કે બાઇક ચલાવવી તેનો ધર્મ છે. તે બાઇકનો શોખીન છે અને વર્ષોથી બાઇક ચલાવતો આવ્યો છે. તેની પાસે અઢળક બાઇક છે. મહેન્દ્ર સિંહ ધોની બાદ ઇન્ડિયામાં સૌથી વધુ બાઇક કોઈ પાસે હોય તો તે જૉન છે. જોને તેના ગૅરેજમાં એપ્રિલિયા RS 457નો સમાવેશ કર્યો છે. 457 ccની આ બાઇકની કિંમત ઇન્ડિયામાં ૪.૧૦ લાખ રૂપિયા છે. આ એક એન્ટ્રી લેવલની સ્પોર્ટ્સ બાઇક છે. આ બાઇક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૉને કૅપ્શન આપી હતી કે ‘બાઇક ચલાવવી મારો ધર્મ છે. આ મારી જીવન જીવવાની રીત છે. હું એપ્રિલિયા રેસિંગ સ્ક્વૉડમાં જોડાવા માટે ઉત્સુક છું અને મારા ગૅરેજમાં મેં RS 457ને આવકારી છે. એને મેં મારી આઇકૉનિક બાઇક RSV4ની બાજુમાં રાખી છે.’
ડીપફેક વિડિયોથી દૂર રહેવા લોકોને વિનંતી કરી રણવીરે
રણવીર સિંહે પોતાના ડીપફેક વિડિયોથી દૂર રહેવા લોકોને વિનંતી કરી છે. ગુરુવારે વાઇરલ થયેલા આ વિડિયોમાં રણવીર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની ટીકા કરીને કૉન્ગ્રેસ પાર્ટીને સપોર્ટ કરવા માટે લોકોને વિનંતી કરી રહ્યો છે. તે વોટ ફૉર ન્યાય અને વોટ ફૉર કૉન્ગ્રેસ કહેતો જોવા મળી રહ્યો છે. વારાણસીમાં મનીષ મલ્હોત્રાના ફૅશન-શોમાં તે જોવા મળ્યો હતો અને ત્યારે આ વિડિયો શૂટ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આ એક ખોટો વિડિયો છે અને એ વિશે રણવીર સિંહે ટ્વીટ કર્યું કે ડીપફેક સે બચો.
દીકરા આઝાદના જન્મ પહેલાં ઘણાં મિસકૅરેજ થયાં હતાં કિરણ રાવને
આમિર ખાનની ઍક્સ વાઇફ કિરણ રાવે જણાવ્યું કે તેના દીકરા આઝાદનો જન્મ થયો એ પહેલાં તેનાં અનેક મિસકૅરેજ થયાં હતાં. આમિર અને કિરણે ૨૦૦૫માં લગ્ન કર્યાં હતાં. ૨૦૨૧માં બન્નેએ ડિવૉર્સ લઈ લીધા હતા. જોકે બન્ને આજે પ્રોફેશનલી સાથે કામ કરે છે. ૨૦૧૧માં આઝાદનો જન્મ થયો એ પહેલાં કિરણને અનેક તકલીફોમાંથી પસાર થવું પડ્યું હતું. એ વિશે કિરણ કહે છે, ‘જે વર્ષે આઝાદનો જન્મ થયો એ જ વર્ષે ફિલ્મ ‘ધોબી ઘાટ’ બનાવવામાં આવી હતી. બાળક માટે અમે ખૂબ પ્રયાસ કર્યો હતો. પાંચ વર્ષમાં મારાં અનેક મિસકૅરેજ થયાં હતાં. મારે હેલ્થને લઈને ઘણી તકલીફ હતી. એ વખતે બાળકને જન્મ આપવું મને ખૂબ મુશ્કેલ લાગી રહ્યું હતું. મારે બાળકની ખૂબ ઇચ્છા હતી. એટલે જ્યારે આઝાદનો જન્મ થયો ત્યારે મારું ધ્યાન માત્ર દીકરાના ઉછેર પર રાખવાનું હતું. આઝાદનો જન્મ થયો એ વર્ષો મારી લાઇફનાં બેસ્ટ વર્ષો હતાં. એટલે દસ વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહી એનો મને જરા પણ પસ્તાવો નથી થતો, કારણ કે એ તબક્કાને મેં ખૂબ એન્જૉય કર્યો છે.’