Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > કુદરત પણ ઇચ્છે છે કે સ્ત્રી-પુરુષ એકબીજામાં મળીને અભિન્ન બને

કુદરત પણ ઇચ્છે છે કે સ્ત્રી-પુરુષ એકબીજામાં મળીને અભિન્ન બને

18 October, 2021 10:47 AM IST | Mumbai
Swami Sachidanand

નક્કી કરી આપેલી સાચી કે ખોટી રૂઢિઓનો મોટો રક્ષક વર્ગ પણ સ્ત્રીઓ પોતે જ થઈ અને એને લીધે લગભગ બધા જ સમાજસુધારકો પુરુષો થયા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પોતાના પ્રશ્નોનો નિકાલ કરતાં પુરુષોએ જાતે જ નક્કી કરી લીધું છે કે સ્ત્રીઓના પ્રશ્નોનો નિકાલ પણ તે પોતે જ કરશે. સ્ત્રીના તમામ પ્રશ્નોનો નિકાલ કરવાનો ભાર પુરુષે પોતાના પર રાખ્યો હોવાથી તેણે સ્ત્રી માટે જે સમાધાનો નક્કી કર્યાં તે તેના પોતાના દૃષ્ટિકોણથી કર્યાં. સ્ત્રી સ્વયં આ બાબત પર શું દૃષ્ટિ ધરાવે છે એની ભાગ્યે જ પરવા કરવામાં આવી છે. સ્ત્રીએ ક્યાં પરણવું, ક્યાં રહેવું, કેમ બોલવું, કેમ ચાલવું, કેમ ખાવું, કેમ કપડાં પહેરવાં, કોને ત્યાં જવું, કોને ત્યાં ન જવું, કોની સાથે વાત ન કરવી, ક્યારે સૂવું તથા ક્યારે જાગવું, કેટલાં બાળકો પેદા કરવાં અને આવી જ સેંકડો વાતોમાં બધું જ પુરુષોએ નક્કી કર્યું હોય એ પ્રમાણે કરવાનું. વિધવા થયા પછી સતી થવું કે મુંડન કરાવીને ભૂંડા વેશે આર્થિક લાચારી સાથે જીવવાના ઢસરડા કર્યા કરવા એ પણ પુરુષો નક્કી કરે. પુરુષપ્રધાન સમાજની આ કરુણતા છે, પણ આ કરુણતાને સ્ત્રીએ સ્વીકારી એ મોટી કરુણતા છે.
નક્કી કરી આપેલી સાચી કે ખોટી રૂઢિઓનો મોટો રક્ષક વર્ગ પણ સ્ત્રીઓ પોતે જ થઈ અને એને લીધે લગભગ બધા જ સમાજસુધારકો પુરુષો થયા. સ્ત્રીઓમાંથી ભાગ્યે જ કોઈ સમાજસુધારક થઈ હોય. કહ્યું એમ, એનું કારણ તે પોતે જ હોય. જે હોય તે, પણ સ્ત્રીજાગૃતિ તથા સ્ત્રીવિકાસમાં મહત્ત્વનો ફાળો પુરુષોનો જ રહ્યો છે એ વાત પણ અવગણી ન શકાય. મને લાગે છે કે એનું એક કારણ પુરુષમાં સમાઈ જવાની અને પોતાના અસ્તિત્વને પુરુષમાં વિલીન કરી દેવાની સ્ત્રીની કુદરતી સહજ વૃત્તિ હોય. થોડાક અપવાદો સિવાય લગભગ બધી જ સ્ત્રીઓમાં આ વૃત્તિ જોઈ શકાય છે અને આ વૃત્તિ જ સ્ત્રીઓનો સમર્પણભાવ પ્રજ્વલ્લિત કરે છે.
આ વૃત્તિ માત્ર માણસમાં નહીં, પશુ-પક્ષી-કીટ જેવી તમામ યોનિઓમાં પણ હોય છે. લગભગ બધી જ માદાઓ નરને આધીન થઈને જીવન જીવે છે. આ આધીનતા મોટા ભાગે સુખાકારી આપનારી પુરવાર થઈ છે. આવી આધીનતાને તે સ્વયં ઇચ્છે છે અને ન મેળવી શકનાર પોતાને હતભાગી માને છે. 
કુદરતી વ્યવસ્થા જ એવી છે કે સ્ત્રીઓ પુરુષોથી તથા પુરુષો સ્ત્રીઓથી કદી સ્વતંત્ર કે નિરપેક્ષ થઈ શકે નહીં. બન્નેને એકબીજાનાં પરાધીન બનાવાયાં છે. 
આ પરાધીનતામાંથી તો દામ્પત્યજીવન પ્રકટ્યું છે. જો દ્વૈત સ્વાધીન અને સુખાકારી હોય તો દામ્પત્યનું અદ્વૈત ખીલી શક્યું ન હોત. કુદરત પણ ઇચ્છે છે કે સ્ત્રી-પુરુષનાં બે જુદાં-જુદાં વ્યક્તિત્વો એકબીજામાં મળીને અભિન્ન બને.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2021 10:47 AM IST | Mumbai | Swami Sachidanand

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK