Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આસ્થાનું એડ્રેસ: દરિયા વચ્ચે બિરાજેલા ત્રિમુખી ગણેશજીનાં દર્શન કર્યા છે ક્યારેય?

આસ્થાનું એડ્રેસ: દરિયા વચ્ચે બિરાજેલા ત્રિમુખી ગણેશજીનાં દર્શન કર્યા છે ક્યારેય?

Published : 02 June, 2025 11:03 AM | Modified : 04 June, 2025 07:01 AM | IST | Mumbai
Dharmik Parmar | dharmik.parmar@mid-day.com

Aastha Nu Address: ગુજરાતી સોરઠિયા કોળી સમાજના કેટલાક લોકોને દરિયામાંથી આ મૂર્તિ પ્રાપ્ત થઈ હતી. માછીમારી કરતી વેળાએ આ મૂર્તિ મળી હતી.

આજનું આસ્થાનું એડ્રેસ છે- સાગર વિનાયક ગણેશ મંદિર

આસ્થાનું એડ્રેસ

આજનું આસ્થાનું એડ્રેસ છે- સાગર વિનાયક ગણેશ મંદિર


માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્રેસ’ (Aastha Nu Address) જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.


મુંબઈ ભાગ્યશાળી શહેર છે કે તે દેશના સૌથી મોટા દરિયાકિનારા એવા અરબી સમુદ્ર સાથે જોડાયેલ છે. શહેર સાથે આશરે ૧૪૯ કિલોમીટર સુધીનો દરિયાકિનારો જોડાયેલો છે. તમને થશે આજે આ વાત દરિયાની વાત કેમ? તો, મારે તમને જે અસ્થાના એડ્રેસ પર લઈ જવા છે તે દરિયાની મધ્યમાં છે. અહીં તમને કોઈ છતવાળું મંદિર જોવા નહીં મળે, માત્ર દૂરથી ધજાઓ ફરકતી જોઈ શકશો. બાન્દ્રા ઊતરીને કાર્ટર રોડ તરફ ચાલતા અહીં પહોંચાય છે. ખારના દરિયામાં બિરાજેલા આપણા લાડલા બાપ્પા `સાગર વિનાયક`ના નામે જાણીતા છે.



મુંબઈનાં હિડન ટેમ્પલ્સની વાત કરીએ ત્યારે સાગર વિનાયક મંદિર અચૂક યાદ આવે. કારણકે જ્યારે દરિયામાં ભરતી હોય છે ત્યારે બાપ્પાની મૂર્તિ પાણીમાં ઢંકાઈ જાય છે. પછી ઓટ આવતાં જ ફરી બાપ્પાનાં દર્શન (Aastha Nu Address) થાય છે. તમારે પણ જો સાગર વિનાયકનાં દર્શન કરવા હોય તો ઓટ સમયે જવું પડે. મંદિર તરફ જવા સાંકડો માર્ગ છે. જે તમને બાપ્પાની મૂર્તિ સુધી લઈ જાય છે. 


બાપ્પાના પ્રાગટ્યની કથા પણ છે રોચક!

Aastha Nu Address: વાત કરીએ સાગર વિનાયક ગણપતિ બાપ્પાનું પ્રાગટ્ય કઇ રીતે થયું અને આ સ્થાન લોકો માટે આસ્થાનું એડ્રેસ બની ગયું. વર્ષ ૨૦૦૪માં બાપ્પાની મૂર્તિ અહીં સ્થાપવામાં આવી હતી. આસપાસ રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો ગુજરાતી સોરઠિયા કોળી સમાજના કેટલાક લોકોને દરિયામાંથી આ મૂર્તિ પ્રાપ્ત થઈ હતી. માછીમારી કરતી વેળાએ આ મૂર્તિ મળી હોઇ તેને કિનારે લાવવામાં આવી.  જ્યારે તેને કિનારે લવાઈ ત્યારે હાલ જે સ્થાને મૂર્તિ છે તે સ્થાને મૂકતાં જ મૂર્તિ વજનદાર થઈ ગઈ. કોઈથી ઊપડી ઊપડાય જ નહીં. ત્યારબાદ તો બાપ્પાની જ ઈચ્છા જાણીને ત્યાં જ કાયમ માટે બાપ્પાની સ્થાપના કરવામાં આવી. હાલ પણ અ સોરઠિયા કોળી સમાજનાં લોકો જ તેની દેખરેખ રાખે છે. 


કોઈ છત કે દીવાલો જોવા મળતી નથી. માત્ર ખડકોની વચ્ચે ત્રિમુખી સાગર વિનાયકની મૂર્તિ જોવા મળે છે. સાથે જ બે શિવલિંગ અને પથ્થરમાંથી નિર્મિત એક નંદીની મૂર્તિનાં પણ દર્શન ભાવિકો કરી શકે છે. 

માઝા બાપ્પા કિતી ગોડ દિસતો!

વાત કરીએ સાગર વિનાયક ગણેશ મૂર્તિની. બાપ્પાની મૂર્તિ લાલ માટીમાંથી બનેલી છે. જાણે બાપ્પાના અંગે સિંદૂર ન લગાડ્યું હોય! ત્રિમુખી ગણેશ જાણે બધી બાજુએ પોતાની અમિદૃષ્ટિ રેલાવી રહ્યા હોય તેવું ભાસે છે. ડાબી અને જમણી તરફ પણ બાપ્પાનું મુખ છે. વચ્ચેનાં મુખ પરનો સુંદર મુગટ ધ્યાનાકર્ષક છે. બાપ્પાને કુલ છ ભુજાઓ છે. ચાર ભુજાઓ ઉપરાંત બે ભુજાઓ મસ્તક પર જોવા મળે છે. બેઉ હાથે આશિષ આપતી બાપ્પાની આ મુદ્રા જોઈને જ ભક્તોનાં દુઃખ પળમાં છૂ થઈ જાય છે.

ખોળામાં બેઠા છે મૂષકદાદા!

મોટેભાગે ગણપતિદાદાની મૂર્તિની બાજુમાં કે ચરણ પાસે મૂષકદાદાની મૂર્તિ હોય છે. પરંતુ સાગર વિનાયક ગણેશજીએ પોતાના વ્હાલા મૂષકને ખોળામાં સ્થાન આપ્યું છે. વળી, એક એક હાથ તેના અંગે મૂક્યો છે. બાપ્પાનાં દર્શન કરનાર ભક્ત પણ કાંઇક આવી જ અનુભૂતિ કરે છે. બાપ્પાના બંને પગની આંગળીઓ એકમેકને સ્પર્શતી જોવા મળે છે. ડાબી સૂંઢવાળા ગણેશની આ મનોહર મૂર્તિ જોઈ ભાવિકો ધન્યતાની (Aastha Nu Address) અનુભૂતિ કરે છે.

ગણેશોત્સવ દરમિયાન આ મંદિરનું મહત્વ વધી જાય છે. તે સમયે અહીં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટે છે. ખળખળ ઘૂઘવતા મોજાઓ વચ્ચે બાપ્પાનાં દર્શન કરવા એ લ્હાવો છે. આસપાસ ખડકો જોવા મળે છે. એની પર અનેક ખંડિત દેવી-દેવતાની મૂર્તિ જોઈ શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 07:01 AM IST | Mumbai | Dharmik Parmar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK