શ્રીકૃષ્ણને આપણે જ્યારે પૂર્ણાવતાર કહીએ છીએ, ત્યારે એક પૂર્ણ વ્યક્તિમાં અપેક્ષિત જે બધા ગુણો છે એનાં આ બધાં પ્રતીકો છે. પછી એ મોરપીંછ હોય, મુરલી હોય, ગાય હોય કે સુદર્શનચક્ર કે કૃષ્ણની આહ્લાદિની શક્તિ રાધિકા હોય
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગયા અઠવાડિયે કહ્યું એમ, શ્રીકૃષ્ણ નામ લઈએ અને મોરપીંછ યાદ આવે. કૃષ્ણ બોલીએ અને મોરલી યાદ આવે, કૃષ્ણ બોલીએ અને ગાય યાદ આવે, કૃષ્ણ બોલીએ અને રાધા યાદ આવે, કૃષ્ણને યાદ કરીએ અને એના સુદર્શનનું સ્મરણ થાય. આ બધી વાતો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી અભિન્નપણે જોડાયેલી છે. તે સાંકેતિક પણ છે અને તેથી એમ કહી શકાય કે શ્રીકૃષ્ણના મસ્તક પર રહેલું મોરપીંછ એ અનાસક્તિનું સૌંદર્ય છે.
મોરપીંછ જો અનાસક્તિનું સૌંદર્ય છે તો મોરલી એ સંગીતનું માધુર્ય છે. સંગીત ત્યારે પ્રગટે, સૂર ત્યારે પેદા થાય, જ્યારે માણસના જીવનમાં એક સંતુલન આવે. શ્રીકૃષ્ણની મોરલી પોલી છે, એમાં છિદ્રો છે અને એનામાં શરણાગતિ છે. એ જ રીતે સુદર્શન એ પ્રજ્ઞા, બુદ્ધિમત્તાનો પ્રકાશ છે. શ્રીકૃષ્ણને આપણે જ્યારે પૂર્ણાવતાર કહીએ છીએ, ત્યારે એક પૂર્ણ વ્યક્તિમાં અપેક્ષિત જે બધા ગુણો છે એનાં આ બધાં પ્રતીકો છે. પછી એ મોરપીંછ હોય, મુરલી હોય, ગાય હોય કે સુદર્શનચક્ર કે કૃષ્ણની આહ્લાદિની શક્તિ રાધિકા હોય.
ADVERTISEMENT
આજના તનાવયુક્ત જીવનમાં સ્ટ્રેસ મૅનેજમેન્ટની વાત હોય, ટાઇમ મૅનેજમેન્ટની વાત હોય, પરિવારને મૅનેજ કરવાનો વાત હોય કે પોતાના વ્યવસાયને મૅનેજ કરવાની વાત હોય. ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર અને તેમના દ્વારા ઉપદિષ્ટ ભગવદ્ગીતા ખૂબ-ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને એ માટેનું સઘળું માર્ગદર્શન એ આપણને આપે છે. શ્રીકૃષ્ણની ગીતા જ્યારે આપણને એમ કહેતી હોય કે, સ્થિતપ્રજ્ઞ બનવું ત્યારે શું કામ અસ્થિત બનવું.
સ્થિતપ્રજ્ઞ રહેવું. માનસિક સંતુલન બનાવી રાખવા માટેનું કેટલું મોટું સૂત્ર છે!
સંસાર સુખમય છે તો સાથોસાથ એ દુ:ખમય પણ છે જ. દ્વંદ્વનું નામ જ દુનિયા છે. અહીં સુખ છે, દુ:ખ છે, હર્ષ-શોક, જય-પરાજય છે, નિંદા-સ્તુતિ છે. આ બધાં જ દ્વૈતની વચ્ચે વ્યક્તિએ સંતુલન સાધીને ચાલવાનું હોય છે. આપણે જોઈએ છીએ કે ખેલ કરનારા તો દોરડા પર વાંસ લઈ પોતાની જાતને સંતુલિત કરી એક છેડેથી બીજે છેડે પહોંચે છે.
સુખ-દુઃખના છેડે બંધાયેલી જીવનની રસ્સી અને એના ઉપર સંતુલન સાધતો માનવ. માનવે આમ જ જીવનયાત્રા કરવાની છે. આવી પરિસ્થિતિમાં જો માનવીએ તનાવમાંથી મુક્ત બનવું હોય, સદાય સચ્ચિદાનંદ સ્વરૂપમાં આગળ ગતિ કરવી હોય તો ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ, શરણ રાખવું એ જ યોગ્ય છે. જીવનમાં આપણે સત્સંગ દ્વારા, કથા દ્વારા કે સદ્ગુરુનાં સદ્વચનો દ્વારા સત્યના પંથે ચાલીએ. સદ્ભાવ સાથે રહીએ અને પરોપકાર કરતાં રહીએ તો આપણી સર્વાંગી પ્રગતિ નિશ્ચિત છે, ચોક્કસ છે.
