અહિંસાની જગ્યાએ “હિંસા વિરુદ્ધનો વિચાર” રાખીને, આ લેખમાં પ્રકૃતિ, પર્યાવરણ અને સમાજ સાથે માનવના સંબંધની વાત કરવામાં આવી છે. કરુણા અને જીવદયા અપનાવવાથી જીવન વધુ સુરક્ષિત બની શકે છે.
પ્રતીકાત્મક તસવીર
થોડાં વર્ષો પૂર્વેની આ વાત છે. એક આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદમાં સબમિટ થયેલી એ થિયરીએ દરેકને સ્તબ્ધ કરી દીધા. વિસ્તારથી રજૂ થયેલી એ થિયરીમાં પશુહત્યા અને ભૂકંપ વચ્ચે મજબૂત લિન્ક હોવાનું જણાવ્યું હતું. વાત સાવ નોખી અને નવી લાગી.
ભારતના ૩ અલગ-અલગ ધર્મના અનુયાયી વૈજ્ઞાનિકોએ આ થિયરી રજૂ કરી હતી. બજાજ, ઇબ્રાહિમ અને સિંગ આ ત્રણેયના આદ્ય આલ્ફાબેટ્સને જોડીને એને BIS theory નામે પ્રસ્તુત કરવામાં આવી છે.
પશુની કતલ થાય એ વખતે એની પીડા, ગૂંગળાતી ચીસો અમુક તરંગો છોડે છે જેને EPW (Einstenial pain waves) કહે છે. એ તરંગો ધરતીના ખડકોમાં કંપન સર્જે છે. આમ ભૂકંપ સાથે પશુહિંસાને તેમણે વૈજ્ઞાનિક રીતે લિન્ક કરી આપી.
માણસ વિકસી રહ્યો છે. આપણે જેટલા વધુ શોષણખોર એટલા જ વધુ વિકસિત. કેટલાય પર્વતો ક્વૉરીમાં થઈને આપણાં મકાનોમાં લાગી ગયા છે. જમીન નીચે રહેલા પાણીને સેંકડો ફીટ ઉપર ખેંચી લાવીને ભૂમિતળ ખાલી કરી દીધું, પવન પ્રદૂષિત કર્યા, જંગલોમાં જમીન બની રહી છે. આનાં પરિણામો સમજવા જેવાં છે.
દુર્ઘટનાઓ માત્ર દુર્ઘટના નથી, પ્રકૃતિનો પ્રતિઉત્તર છે. ભૂકંપો એટલે પૃથ્વીનો વળતો ઘા, પૂર-હોનારતો એટલે પાણીનો વળતો પ્રહાર, આગ લાગવાના બનાવો એટલે અગ્નિ તત્ત્વનો ગરમ પ્રતિસાદ, વાવાઝોડાં એટલે પવનનો જવાબ, ભૂખમરો એટલે જંગલનો જવાબ. પ્રકૃતિનાં બધાં તત્ત્વો કડક જવાબો આપી રહ્યાં છે ત્યારે આવી વૈજ્ઞાનિક થિયરી સાયરન વગાડે છે.
આ જ રીતે અન્ય બે મજબૂત લિન્ક પણ પછીથી તૈયાર થઈ જેણે દરિયાઈ હિંસાથી વાવાઝોડાની શક્યતા દર્શાવતાં તારણો આપ્યાં.
જૈન આગમ સૂત્ર શ્રી આચારાંગ સૂત્રમાં બહુ માર્મિક વાત કરી છે. ‘ભઈલા! તું જેને હણે છે તે તું પોતે જ છે.’ આ વિચાર જો બુદ્ધિમાં સ્થિર થાય તો કયો માણસ હિંસા આચરે? વાસ્તવમાં અહિંસા એટલે આપણી સુરક્ષા. વિશ્વમાં કરુણા ઘટે ત્યારે ક્રૂરતા ફેલાય છે. બુદ્ધિજીવીઓ હવે (ઊભરાતી મહામારીઓ પછી તો ખાસ) મનમાં કોતરી લે : Non-Violence seems a compulsion. જો એક પસંદગી તરીકે કે ગુણરૂપે અહિંસાનો આવકાર નહીં થાય તો એક ફરજ અને કદાચ સજારૂપે અહિંસાને અપનાવવી જ પડશે.
અહિંસા એ માત્ર ધાર્મિક મુદ્દો ન રહેતાં હવે એ આર્થિક, પર્યાવરણીય અને સામાજિક મુદ્દો પણ બની ગયો છે.
જૈન જીવનશૈલીએ અહિંસાને પોતાનામાં સર્વાધિકપણે સમાવી છે. પર્યુષણ પર્વ પ્રસંગે જૈનો અહિંસાને પ્રસારવા સક્રિય બને ત્યારે આવાં વિશ્ળેષણો અને તારણો ખૂબ જ મહત્ત્વનાં બની જાય છે.
-જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ
