ખાવાનું છોડ્યા વગર વજન કેવી રીતે ઊતરી શકે એના માટે તમે પણ નિષ્ણાત પાસેથી જાણો કે આ ચમત્કાર કેવી રીતે શક્ય બને.
પ્રતીકાત્મક તસવીર
વજન ઘટાડવા માટે ભૂખ્યા તો રહેવું જ પડે એ માન્યતામાં હવે ધરમૂળથી બદલાવ આવ્યો છે. અમેરિકન ન્યુટ્રિશનિસ્ટે એક પોસ્ટમાં શૅર કરેલું કે વજન ઉતારવું હોય તો ભૂખ્યા ન રહો. લાંબા કલાકો ભૂખ્યા રહેવાની હિમાયત કરતી ડાયટિંગ મેથડ્સ સરવાળે નુકસાન કરે છે એટલે ભૂખ્યા ન રહીને વજન ઉતારવાનું અને હેલ્થ જાળવવાનું કઈ રીતે શક્ય છે એ નિષ્ણાત પાસેથી જાણીએ
૨૦૨૨માં ગ્લોબલ હેલ્થ અને ફિટનેસ ઇન્ડસ્ટ્રી ૯૬ બિલ્યન ડૉલરની આંકવામાં આવી હતી અને અનુમાન લગાવવામાં આવ્યું છે કે ૨૦૩૦ સુધીમાં એનો આંકડો ૧૨૫ બિલ્યન ડૉલર સુધી પહોંચી જશે. આજના સમયમાં લોકો હેલ્થ પ્રત્યે ખૂબ સજાગ છે અને એમાં પૈસા ખર્ચી રહ્યા છે જેના કારણે લગભગ દુનિયાના દરેક ખૂણે હેલ્થ, ફિટનેસ અને ડાયટ પર સંશોધનો થઈ રહ્યાં છે. કીટો ડાયટ, ઇન્ટરમિટન્ટ ડાયટ, લિક્વિડ ડાયટ, પ્રોટીન ડાયટ જેવાં અઢળક નામો તમે સાંભળી ચૂક્યા છો અને એમાં દિવસે-દિવસે નવાં નામોનો યાદીમાં ઉમેરો થતો જ રહે છે. અમુક લોકો ફિટ રહેવા માટે અને અમુક લોકો વજન ઉતારવા માટે ન્યુટ્રિશનિસ્ટ કે ડાયેટિશ્યનની સલાહ લેતા હોય છે. તેમને ડાયટ પ્લાનનું પરિણામ પણ મળતું હોય છે અને વજન ઊતરી પણ જતું હોય છે. જેવું વજન ઊતરે એટલે ડાયટ પ્લાન બંધ અને વજન ફરી હતું એટલું ને એટલું થઈ જાય છે. ડાયટ પ્લાનના આ ચક્રવ્યૂહમાંથી નીકળવા માટે કરવું શું? અમેરિકાની ન્યુ યૉર્કની ડાયેટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટે એક પોસ્ટ શૅર કરી જેમાં તેણે સમજાવ્યું છે કે વજન ઉતારવા માટે ભૂખ્યા ન રહેવું. આ વાત લોકોને એટલી અપીલ કરે છે કે માત્ર શીર્ષક વાંચીને લોકો આખો લેખ વાંચી જાય એવી શક્યતા છે. તો ખાવાનું છોડ્યા વગર વજન કેવી રીતે ઊતરી શકે એના માટે તમે પણ નિષ્ણાત પાસેથી જાણો કે આ ચમત્કાર કેવી રીતે શક્ય બને.
ADVERTISEMENT
ખોટી રીતે ભૂખ્યા રહેવાની ફૅશન
‘બિગિનર્સ ગાઇડ ઍન્ડ જર્નલ ટુ હોલિસ્ટિક અપ્રોચ ટ્રાયસૂત્ર’ બુકનાં લેખક અને જુહુમાં છેલ્લાં ૮ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં ઇન્ટિગ્રેટિવ ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ સાઇકોલૉજિસ્ટ કરિશ્મા શાહ કહે છે, ‘ડાયટની ફિલોસૉફી, જે બહુ જૂની છે કે તીવ્ર ભૂખ ન લાગે અ માટે થોડું-થોડું ખાતા રહો. પરંતુ લોકો એનાથી ઊલટી ફિલોસૉફીમાં માનતા થઈ ગયા હતા. જેમ કે લોકો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરે છે. યસ, એના પર રિસર્ચ થયાં છે પણ આ રિસર્ચ એક ચોક્કસ ગ્રુપ પર કરવામાં આવ્યું છે. તેથી એ ગ્લોબલી લાગુ પડે છે એમ ન કહી શકાય. હવે અમુક લોકોને પહેલેથી જ હાર્ટ કન્ડિશન હોય કે હાઇપરટેન્શન હોય કે તીવ્ર ઍસિડિટીથી પીડાતા હોય કે અન્ય બીમારી હોય તો એ લોકો વજન ઉતારવા માટે આ પ્રકારની ડાયટનું આંધળું અનુકરણ ન કરી શકે. લોકો આ પ્રકારની ડાયટમાં ૧૨થી ૧૬ કલાક ભૂખ્યા રહે અને માને કે ભૂખ જ તેમની કૅલરી બર્ન કરીને વજન ઉતારશે. જોકે આ બધાના શરીરને લાગુ ન પડે. એની વિપરીત અસર પણ થઈ શકે છે. હવે ફરી લોકો ભૂખ્યા ન રહેવાની ફિલોસૉફી તરફ પાછા વળી રહ્યા છે. હવે આમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. થોડા-થોડા અંતરે ખાવાથી ફાયદો થાય છે પરંતુ જે વ્યક્તિને દિવસમાં ચારથી પાંચ વખત ખાવાની જરૂર નથી પડતી તે પણ જો ચાર-પાંચ વાર ખાય તો તેને નુકસાન થાય છે. ડાયટનો કોઈ યુનિવર્સલ સિદ્ધાંત નથી.’
શરીરની પ્રકૃતિને જાણીને જમો
ડાયટ અને ફિટનેસ પર ઘણાંબધાં ક્લિનિકલ રિસર્ચ પ્રકાશિત થાય છે જે અમુક ચોક્કસ વિસ્તારમાં અને લોકો પર જ થયાં હોય છે. તેથી તમારે તમારા શરીરની પ્રકૃતિ જાણવી જરૂરી છે એમ જણાવતાં કરિશ્મા કહે છે, ‘આયુર્વેદ પ્રમાણે વ્યક્તિના શરીરની પ્રકૃતિ કફ કે વાતની હોય છે. કફની પ્રકૃતિવાળા લોકો દિવસમાં સમયસર ત્રણ હળવાં મીલ એટલે કે ઘરનું ખાય છે તો તેમનું શરીર હેલ્ધી રહે છે. અને વાત પ્રકૃતિવાળા લોકો જો દિવસમાં ૬ મીલ ન લે તો તેમને ઍન્ગ્ઝાયટી થવા લાગે છે. એટલે કોઈ એક ડાયટ-પ્લાન દરેક વ્યક્તિને લાગું પાડી શકાય નહીં. હવે કઈ વ્યક્તિનો ખાવાનો ચોક્કસ સમય કયો છે એ પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે આજે લોકો લેટ નાઇટ પણ કામ કરતા હોય છે તો તેમનો ખાવાનો સમય જુદો હોય છે પણ જો દરરોજ એક સમયે જમતા હોય તો તેમનું શરીર પણ હેલ્ધી જ રહે છે. સવારે ૬ વાગ્યે ઊઠો તો કદાચ ૭ વાગ્યા સુધીમાં નાસ્તાની જરૂર પડે પરંતુ ૧૦.૩૦ વાગ્યે ઊઠીને ભારે નાસ્તો ન કરી શકો, કારણ કે બે વાગ્યા સુધીમાં લંચનો સમય થઈ જાય. તમારા મીલના સમય વચ્ચે ચોક્કસ અંતર રાખવું પણ જરૂરી છે.’
સમયસર અને સમતોલ આહાર લો
વજન ઉતારવા કે હેલ્ધી રહેવા શા માટે કોઈ ડાયટ-પ્લાનની જરૂર નથી એને સરળ ભાષામાં સમજાવતાં કરિશ્મા કહે છે, ‘કોરોના પહેલાં લોકો વજન ઉતારવા પર ધ્યાન આપતા હતા. પોસ્ટ-કોવિડ લોકોનો હેલ્થ માટેનો અપ્રોચ બદલાઈ ગયો છે. લોકો હેલ્થ માટે સજાગ થઈ ગયા છે. તેઓ દરેક વાતની જાણકારી મેળવતા થયા છે. વાત કરીએ કે ડાયટ-પ્લાન વગર કેવી રીતે હેલ્ધી રહેવું તો લોકોએ ચોક્કસ ટાઇમ-ટેબલમાં ફિટ થવું પડે. જેમ કે તમે દિવસમાં ક્યારે અને કેટલી કૅલરી ખાઓ છો એના વિશે માહિતી હોવી જોઈએ. ૩૦ વર્ષના થઈને તમે દરરોજ લંચમાં પાસ્તા અને ડિનરમાં પીત્ઝા ન ખાઈ શકો. અઠવાડિયામાં એક વખત તમે ફ્રેન્ડ્સ કે ફૅમિલી સાથે પોતાને બહારનું ખાવાની છૂટ આપી શકો છો. એક પીત્ઝામાં ૧૨૦૦ કરતાં વધારે અને પાસ્તાની પ્લેટમાં ૭૦૦ કરતાં વધારે કૅલરી હોય છે જે દરરોજ ખાવાથી હેલ્થને નુકસાન થાય છે.’
માઇન્ડફુલ ઈટિંગ
વજનને મેઇન્ટેન રાખવા કે વજન ઉતારવા માટેના ઉપાયો માટે તેઓ કહે છે, ‘માઇન્ડફુલ અને સમતોલ આહાર જરૂરી છે. ઘરે બનતું ભોજન ખાઓ તો પણ એમાં સંપૂર્ણ આહાર હોવો જોઈએ. હવે સવારે નાસ્તામાં માત્ર ટોસ્ટ અને બટર ન ખવાય કે લંચમાં માત્ર શાક અને રોટલી ન ખવાય કે ડિનરમાં માત્ર પાંઉભાજી, પીત્ઝા-પાસ્તા ન ખાઈ શકાય. આપણા ગુજરાતી અને મારવાડીના ડિનરની રીતને ધરમૂળથી બદલવાની જરૂર છે. મારી પાસે આવતા ક્લાયન્ટ ગર્વથી કહેતા હોય છે કે અમારા ઘરે તો ડિનરમાં બહુ જ વરાઇટી હોય છે. હવે ડિનરમાં પીત્ઝા-પાસ્તા, પાણીપૂરી, ફ્રૅન્કી કે પાંઉભાજી જેવી વસ્તુ ન ખાવાની હોય. રાત્રે ડિનર પછી સૂવાના સમયમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાકનો સમય હોવો જોઈએ એટલે તમારે ડિનર એકદમ હળવું લેવાનું હોય છે. તમારે સારી ઊંઘ લેવી હોય તો પાચનતંત્રને મહેનત પડે એવું ન ખાવું જોઈએ. તમારે વજન ઉતારવા જિમ જવાની કે ભારે કસરત કરવાની જરૂર પણ નથી પરંતુ આખો દિવસ બેઠા પણ નથી રહેવાનું એટલે કે હલનચલન થતું રહેવું જોઈએ. વજન ઉતારવાનું કે મેઇન્ટેન રાખવાનું બહુ જ સરળ છે. ચોક્કસ સમયે જમો, ઘરનું ખાઓ અને સમયસર ઊંઘ લો; જે તમે જીવનભર ફૉલો કરી શકો છો. આવી રીતે તમે હેલ્ધી રહી શકો છો.’
ક્યારેક વધુ ખાઈ લેવાય તો પછી બીજા દિવસે ઉપવાસથી સરભર થાય?
છેલ્લા ઘણા સમયથી હેલ્થ કૉન્શિયસ બનેલા યુવાનો એક બીજી ખોટી ડાયટ-સાઇકલમાં ફસાયેલા જોવા મળે છે. અચાનક મૂડ થાય અને સામે જન્ક ફૂડ પડ્યું હોય તો ચીઝથી લથબથ પીત્ઝા-પાસ્તા ઝાપટી લેશે અને પછી ગિલ્ટ ફીલ કરશે કે ડાયટમાં ચીટિંગ કરી લીધી. ગિલ્ટના ભાગરૂપે તેઓ બીજા દિવસે ભૂખ્યા રહેશે. તેમને એમ લાગે છે કે કૅલરી સરભર થઈ જશે. આ એકદમ ખોટી અને સ્વાસ્થ્યને નુકસાનકારક પ્રૅક્ટિસ છે. ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘આવું કરવાથી તમે ડાઇજેસ્ટિવ સિસ્ટમને વધુ ડિસ્ટર્બ કરો છો. જો ચીટ ડેમાં ઓવરઈટિંગ થઈ ગયું હોય તો બીજા દિવસે ભૂખ્યા ન રહેવું. એક્સરસાઇઝ પર ભાર મૂકીને તમારી બૅલૅન્સ્ડ ડાયટને વળગી રહેવું. બીજા દિવસે ફાઇબરવાળી અને ન્યુટ્રિશનવાળી લો કૅલરી ચીજો ચોક્કસપણે સમાવવી. ચીટના ગિલ્ટમાં ભૂખ્યા રહેવાથી પાચક અવયવોની કામગીરીમાં ગરબડ પેદા થાય છે.’
આજે લોકો લેટ નાઇટ પણ કામ કરતા હોય છે તો તેમનો ખાવાનો સમય જુદો હોય છે પણ જો દરરોજ એક સમયે જમતા હોય તો તેમનું શરીર પણ હેલ્ધી જ રહે છે. સવારે ૬ વાગ્યે ઊઠો તો કદાચ ૭ વાગ્યા સુધીમાં નાસ્તાની જરૂર પડે પરંતુ ૧૦.૩૦ વાગ્યે ઊઠીને ભારે નાસ્તો ન કરી શકો, કારણ કે બે વાગ્યા સુધીમાં લંચનો સમય થઈ જાય.

